VIDEO: મેદાંતા હોસ્ટિપલમાં વિપક્ષી સાંસદોના પ્રતિનિધિમંડળને અટકાવાયું, સોનમ વાંગચૂક સાથે ન કરવા દીધી મુલાકાત
NEET-UG પેપર લીક ગેરરીતિઓ અને વિદ્યાર્થીઓના મુદ્દે છેલ્લા ૨૫ દિવસથી અનિશ્ચિત મુદતની ભૂખ હડતાળ પર ઉતરેલા જાણીતા પર્યાવરણવિદ અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક હાલ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બુધવારે વિપક્ષી સાંસદોનું એક ખાસ પ્રતિનિધિમંડળ તેમની ખબરઅંતર પૂછવા અને સમર્થન જાહેર કરવા મેદાંતા હોસ્પિટલ પહોંચ્યું હતું. દરમિયાન, સોનમ વાંગચુકના ધર્મપત્ની ડો. ગીતાંજલિ અંગમોએ હોસ્પિટલમાં તૈનાત પોલીસ અધિકારીઓ તેમજ વિપક્ષી સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કૉંગ્રેસના વિવેક તંખા, તૃણમૂલ કૉંગ્રેસના સાગરિકા ઘોષ અને સીપીઆઈ(એમ)ના જ્હોન બ્રિટાસ સહિતના નેતાઓ સામેલ હતા.
સંસદમાં મુદ્દો ઉઠાવવાની ખાતરી
પ્રતિનિધિમંડળે વાંગચુક અને ડો. ગીતાંજલિને આશ્વાસન આપ્યું હતું કે દેશના કરોડો વિદ્યાર્થીઓ અને યુવાનોનો આ અવાજ હવે સંસદના બંને ગૃહોમાં પૂરા જોરશોરથી ઉઠાવવામાં આવશે. નેતાઓએ સોનમ વાંગચુકને અનિશ્ચિત મુદતના ઉપવાસ સમેટી લેવા વિનંતી કરતા એક પત્ર સોંપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે *"દેશ અને યુવાનોને તમારા બલિદાન કરતાં તમારા માર્ગદર્શન અને સેવાની વધુ જરૂરિયાત છે."
હાઈકોર્ટના આદેશ બાદ મેદાંતા ખસેડાયા
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકોર્ટના નિર્દેશ બાદ સોનમ વાંગચુકને સફદરજંગ હોસ્પિટલમાંથી ખાનગી હોસ્પિટલ મેદાંતામાં ખસેડવામાં આવ્યા હતા. ડો. ગીતાંજલિ અંગમોએ અગાઉ દિલ્હી પોલીસ અને સફદરજંગ હોસ્પિટલના વહીવટીતંત્ર પર વાંગચુકને ગેરકાયદે કસ્ટડીમાં રાખવાનો આરોપ લગાવ્યો હતો. હાલ ડો. ગીતાંજલિ અંગમોએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના હિત માટે અને શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટેનો આ સંગ્રામ યોગ્ય દિશામાં આગળ વધી રહ્યો છે, પરંતુ વાંગચુકનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે.

