VIDEO: મુંબઈ-ધારાવીના અસલી સત્યથી દેશ સ્તબ્ધ: 1,450 લોકો વચ્ચે માત્ર એક જ ટોઇલેટ! SRA ચીફે ડેટા જાહેર કરી ખોલ્યા મોટા રાઝ!
વિશ્વના સૌથી મોટા પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ પૈકીના એક એવા મુંબઈના ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટીના સીઈઓ ડૉ. મહેન્દ્ર કલ્યાણકરે ધારાવીની ગ્રાઉન્ડ રિયાલિટી, વસ્તીની ઘનતા અને ચાલી રહેલા સર્વે અંગે મહત્વની વિગતો આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ધારાવી માત્ર ઝૂંપડપટ્ટી નથી, પરંતુ આર્થિક ગતિવિધિઓનું એક મોટું કેન્દ્ર છે.
ડૉ. મહેન્દ્ર કલ્યાણકરે જણાવ્યું કે, "ધારાવી 600 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં માત્ર ઝૂંપડપટ્ટીઓ જ નહીં પરંતુ અનેક પ્રકારના લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગો (માઇક્રો-ઇન્ડસ્ટ્રીઝ) પણ ધમધમી રહ્યા છે. ધારાવી મુંબઈની સરેરાશ કરતાં 14 ગણી વધુ વસ્તી ગીચતા ધરાવે છે, જ્યાં પ્રતિ હેક્ટર આશરે 4000 લોકો વસવાટ કરે છે. સ્વચ્છતાની પરિસ્થિતિ એટલી હદે ચિંતાજનક છે કે લગભગ 1450 નાગરિકો વચ્ચે માત્ર એક જ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ છે."
પ્રોજેક્ટના માળખા અને ભાગીદારી અંગે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, "આ પ્રોજેક્ટ એક સંયુક્ત સાહસ છે, જેમાં મહારાષ્ટ્ર સરકારની 20 ટકા હિસ્સેદારી છે અને અદાણી જૂથની ANDPL 80૦ ટકા સાથે લીડ પાર્ટનર તરીકે કાર્યરત છે. સરકાર તરીકે અમે તમામ સ્થાનિક રહેવાસીઓ સાથે સતત સંવાદ સાધી રહ્યા છીએ. આ જ સંવાદના પરિણામે અત્યાર સુધીમાં 99000 થી વધુ સ્ટ્રક્ચર્સ (મકાનો/દુકાનો)નું નંબરિંગ થઈ ચૂક્યું છે અને લગભગ 96000 લોકોનો બાયોમેટ્રિક સર્વે સફળતાપૂર્વક પૂર્ણ કરી વેરિફાઇડ ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે."
તેમણે વધુમાં ઉમેર્યું કે મહારાષ્ટ્ર સરકાર ધારાવીના પુનર્વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. સ્થાનિક વેપારી પ્રતિષ્ઠાનો અને લઘુ ઉદ્યોગોનું યોગ્ય રીતે પુનર્વસન થાય તેમજ પ્રદૂષણમુક્ત વાતાવરણ જાળવીને કૌશલ્ય આધારિત પ્રવૃત્તિઓને પૂરતું પ્રોત્સાહન મળે તે માટે સરકાર કોઈ કસર છોડશે નહીં.

