VIDEO: "કોંગ્રેસ ભવિષ્યમાં 'ઝીરો પાર્ટી' બની જશે!" 7.8% GDP ગ્રોથ અને પદયાત્રા પર કુમારસ્વામીનો સનસનાટીભર્યો દાવો
કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર સામે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ સેક્યુલર (JDS) દ્વારા સંયુક્ત પદયાત્રા શરૂ કરવામાં આવી છે. આ પદયાત્રા અને દેશના તાજેતરના જીડીપી ગ્રોથના આંકડાઓને લઈને કેન્દ્રીય મંત્રી એચડી કુમારસ્વામીએ દિલ્હી ખાતે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે અને કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓની પ્રશંસા કરી છે.
કર્ણાટક સરકાર પર ભ્રષ્ટાચારના આક્ષેપો
પદયાત્રા અંગે વાત કરતા એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે, "આજથી ઉત્તર કર્ણાટકમાં 10 દિવસની વિશાળ પદયાત્રા શરૂ કરવામાં આવી છે. કર્ણાટકના રાજકીય અને વહીવટી ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી ખરાબ અને સૌથી ભ્રષ્ટ સરકાર છે. સમગ્ર દેશને એક સંદેશ આપવા અને સૌથી અગત્યનું કર્ણાટકને બચાવવા માટે આ પદયાત્રા શરૂ કરવામાં આવી છે."
7.8% GDP ગ્રોથ અને અર્થતંત્ર પર મોટું નિવેદન
નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતના 7.8% જીડીપી વિકાસ દર અંગે તેમણે જણાવ્યું કે, "દેશના વિકાસ માટે આ ગતિ અત્યંત મહત્વપૂર્ણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નાણા મંત્રાલય દ્વારા 7.8% GDP ગ્રોથ હાંસલ કરવો એ એક મોટી સિદ્ધિ છે. વૈશ્વિક પડકારો અને યુદ્ધની સ્થિતિ છતાં ભારત આ તમામ મુશ્કેલીઓનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે."
તેમણે ઉમેર્યું હતું કે, "નાણાકીય વર્ષ 2027ના અંત સુધીમાં ભારત 10%થી વધુનો જીડીપી ગ્રોથ હાંસલ કરે તેવી અપેક્ષા છે. ભારતીય અર્થવ્યવસ્થા કોઈ મૃત અર્થતંત્ર નથી, પરંતુ તે સતત વૃદ્ધિ પામી રહી છે અને રેકોર્ડ સ્તરે પહોંચશે. જે રીતે દેશ આગળ વધી રહ્યો છે તે જોતાં કોંગ્રેસ ભવિષ્યમાં 'ઝીરો પાર્ટી' બની જશે."

