'રાજીનામું આપીને ઘરે જતા રહો....', દિલ્હી બ્લાસ્ટ મુદ્દે કોંગ્રેસે અમિત શાહ પર સાધ્યું નિશાન

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. કાર બ્લાસ્ટની તપાસ તમામ એજન્સીઓ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કાર બ્લાસ્ટ એક 'ફિદાયીન' આત્મઘાતી હુમલાખોર દ્વારા કરવામાં આવ્યો હતો. ફરીદાબાદ મોડ્યુલનો પર્દાફાશ થતાં જ તેણે આત્મઘાતી હુમલાની યોજના બનાવી. દિલ્હી લાલ કિલ્લા સામે થયેલા બ્લાસ્ટ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. કોંગ્રેસે આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરી છે. યુપી કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ કહે છે કે કોઈ ઘૂસણખોરીયા ઘૂસી શકતા નથી. તો આ ઘટનાઓ કેમ બની રહી છે.
આ અગાઉ 2019માં ચૂંટણી પહેલા પુલવામાં ઘટના થઈ હતી. એ હુમલાની પણ કોઈ તપાસ થઈ નથી. સમગ્ર દેશમાં તણાવ છે. કેટલાય નિર્દોષ લોકો માર્યા ગયા છે. હવે આ ઘટનાની જવાબદારી કોણ લેશે. આ મામલે ગૃહમંત્રી સીધીરીતે જવાબદાર છે. તેમણે તુરંત રાજીનામું આપી દઈને ઘરે જવું જોઈએ. આ દેખીતી રીતે સરકારની વિફળતા છે. ગૃહમંત્રી કાલે પણ ચૂંટણી પ્રચારમાં જ વ્યસ્ત હતા.
કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારી એ પણ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કાલે સવારે જ ફરિદાબાદથી 2900 કિલો વિસ્ફોટકનો જથ્થો ઝડપાયો હતો, કદાચ એ સમયે સરકાર જાગૃત થવાની જરૂર હતી. એ તો જમ્મુ કશ્મીર પોલીસે અહીં આવીને એ જથ્થો ઝડપ્યો. આ ઘટના ખૂબજ દુઃખદ છે. હું મૃતકોના પ રિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. અને જે ઈજાગ્રસ્ત થયા છે તે જલદી સાજા થાય તેવી કામના કરું છું. આ ઘટના ભારતની રાજધાની દિલ્હીમાં થઈ એટલે સરકારે તેને ચેલેન્જના રૂપે સ્વિકારવી પડે. દોષીઓને જલ્દીથી ઝડપી લેવા જોઈએ. કોઈ કાવતરું હોય તો તે પણ સામે લાવવું પડે. અને ભવિષ્યમાં આવી ઘટના ના બને તેના પૂરતા પ્રયાસો કરવા જરૂરી છે.

