VIDEO: ટીકમગઢમાં CM મોહન યાદવનો સપાટો: બેદરકારી દાખવનાર ડેપ્યુટી કમિશનર સસ્પેન્ડ, અધિકારીઓમાં ફફડાટ!
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ટીકમગઢ જિલ્લાની મુલાકાત લઈને વિવિધ વિકાસલક્ષી અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે ટીકમગઢની ઐતિહાસિક પીતળ શિલ્પ કળાની પ્રશંસા કરી હતી અને સાથે જ વહીવટી કામગીરીમાં બેદરકારી દાખવનાર સહકારી મંડળીના ડેપ્યુટી કમિશનરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો કડક આદેશ આપ્યો હતો.
પીતળ શિલ્પ કળા અને સ્થાનિક કારીગરીનું નિરીક્ષણ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ટીકમગઢ તેના ઉત્કૃષ્ટ પિત્તળના શિલ્પો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રજવાડાંના સમયથી ચાલી આવતી આ કળા સદીઓથી અહીં ખીલી છે. તેમણે કારીગરોની વર્કશોપની રૂબરૂ મુલાકાત લઈને આ અદભુત કારીગરીની પ્રક્રિયા નિહાળી હતી અને કલાકારોના કૌશલ્યને બિરદાવ્યું હતું.
કામગીરીમાં બેદરકારી સામે કડક વલણ
મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ વહીવટી સમીક્ષા હાથ ધરી હતી અને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, સહકારી વિભાગના ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સરકાર સારું કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓની પડખે ઊભી છે, પરંતુ જનહિતના કામોમાં કોઈપણ પ્રકારની લાપરવાહી સહન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર લોકકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
કુંડેશ્વર મહાદેવને ધાર્મિક પર્યટન હબ તરીકે વિકસાવવાની જાહેરાત
મુખ્યમંત્રી મોહન યાદવે જણાવ્યું કે ટીકમગઢની જનતા સાથે સમય વિતાવીને તેમને ઘણો આનંદ થયો. તેમણે પ્રખ્યાત કુંડેશ્વર મહાદેવ પ્રત્યે પોતાની ઊંડી આસ્થા વ્યક્ત કરતાં જાહેરાત કરી હતી કે આ પવિત્ર વિસ્તારને એક મોટા ધાર્મિક પર્યટન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે સરકાર નક્કર આયોજન સાથે આગળ વધશે.

