VIDEO: CJP આંદોલન પૂરું થતાં જ બદલાયું રાજકારણનું ગણિત: વિપક્ષની નજર હવે આ મોટા મુદ્દા પર
Anti Paper Leak Bill Lok Sabha : કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સાથે જ જંતર-મંતર પર ચાલી રહેલું કોકરોચ જનતા પાર્ટી (CJP) નું વિરોધ પ્રદર્શન હવે સમેટાઈ ગયું છે. બીજી તરફ, સોમવારે કેન્દ્ર સરકાર લોકસભામાં પેપર લીક સામે કડક બિલ રજૂ કરવા જઈ રહી છે. હવે વિપક્ષે પોતાની રણનીતિ બદલી છે અને તેમનું સંપૂર્ણ ધ્યાન અયોધ્યા રામ મંદિરમાં ચડાવો ચોરી થવાના મુદ્દા પર શિફ્ટ થઈ શકે છે. 2027 ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વિપક્ષ માટે આ એક મોટો રાજકીય મુદ્દો બની રહ્યો છે.
શિક્ષણમંત્રી બાદ હવે ગૃહમંત્રી વિપક્ષના નિશાને
20 જુલાઈએ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારે CJP એ સંસદ કૂચ કરી હતી. આ કૂચ દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરતા વિપક્ષનું પૂરું ફોકસ આ તરફ શિફ્ટ થઈ ગયું હતું. કોંગ્રેસે શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે સંસદમાં હોબાળો મચાવ્યો હતો અને કોઈ ચર્ચા થવા દીધી ન હતી.
લોકસભામાં આક્રામક વિપક્ષ
હવે જ્યારે સરકાર સોમવારે પેપર લીક વિરોધી કાયદો લાવી રહી છે, ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું છે કે માત્ર ધર્મેન્દ્ર પ્રધાન જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જ માટે ગૃહમંત્રી પણ જવાબદાર છે અને તેમણે પણ રાજીનામું આપવું જોઈએ. રાહુલ ગાંધીએ માંગ કરી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમગ્ર ઘટનાક્રમ માટે માફી માંગવી જોઈએ. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળો અયોધ્યા મામલાને કેન્દ્રમાં રાખીને હવે ગૃહમંત્રી અમિત શાહ પર પ્રહારો કરશે.
2027 ની યુપી ચૂંટણી અને હિન્દુ વોટબેંકની રાજનીતિ
મોદી સરકાર લોકસભામાં પેપર લીક સામે ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈ કરતું બિલ લાવી રહી છે. પેપર લીક પર ચર્ચા બાદ વિપક્ષનું પૂરું ફોકસ અયોધ્યા પર રહેવાની સંભાવના છે. 2027 માં ઉત્તર પ્રદેશમાં ચૂંટણીઓ યોજાવાની છે, તેથી કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી (SP) બંને યુપી પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. હાલમાં યુપીનો સૌથી મોટો મુદ્દો રામ મંદિરમાં દાન ચોરીનો છે, જેમાં રાજકીય પક્ષોને પોતાનો ફાયદો દેખાઈ રહ્યો છે.
ભાજપ બેકફુટ પર વિપક્ષ ફાયદો ઉઠાવશે
વિપક્ષ હવે આ મુદ્દો ઉઠાવીને સરકારને હિન્દુ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરશે. જોકે, સંસદમાં દબાણમાં આવ્યા બાદ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી ભાજપ પણ વળતો પ્રહાર કરવાની તૈયારીમાં છે. આકરા હુમલાઓનો સામનો કરવા માટે સરકાર સંસદમાં કોંગ્રેસના શાસનકાળ દરમિયાન થયેલી કથિત ગેરરીતિઓનું લિસ્ટ રજૂ કરી શકે છે.

