VIDEO: વિદ્યાર્થીઓ પરથી તમામ કેસ રદ્દ! દિલ્હી પોલીસ કમિશનર સાથેની મુલાકાત બાદ CJPની જાહેરાત
કોકરોચ જનતા પાર્ટી (CJP) ના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રાંકાએ દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર અને તંત્ર સાથે થયેલી સમજૂતી મુજબ આંદોલનકારીઓ સામેના તમામ કેસો રદ્દ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે એક નવી શરૂઆત થઈ રહી છે.
"20 જુલાઈની ઘટના દુઃખદ હતી, પરંતુ દિલ્હી પોલીસનો સહયોગ રહ્યો"
દિલ્હી પોલીસ કમિશનર સાથેની સકારાત્મક બેઠક અંગે માહિતી આપતાં આશુતોષ રાંકાએ જણાવ્યું હતું કે, "પોલીસ કમિશનર સાથે અમારી ખૂબ જ સારી બેઠક રહી. છેલ્લા કેટલાક દિવસોમાં જે પણ ઘટનાઓ ઘટી તે તમામ મુદ્દાઓ પર અમે વિસ્તૃત ચર્ચા કરી છે. 20 જુલાઈના રોજ જે બન્યું તે ખૂબ જ કમનસીબ હતું, પરંતુ આ સમગ્ર આંદોલન દરમિયાન દિલ્હી પોલીસનો સતત સહયોગ પણ રહ્યો છે જેને અમે સ્વીકારીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે અહીંથી એક નવા પ્રકરણની શરૂઆત થશે."
તેમણે ઉમેર્યું કે, અમારી તમામ માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે, જેમાં તમામ જૂની FIR પાછી ખેંચવી અને ભવિષ્યમાં કોઈ નવી FIR દાખલ ન કરવાની ખાતરીનો સમાવેશ થાય છે. અંત ભલા તો સબ ભલા. અમે આ દેશના તમામ યુવાનોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ."
"શિક્ષણ મંત્રીનું રાજીનામું એ માત્ર પદત્યાગ નથી, લોકશાહીની વાપસી છે"
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે આકરા અને પ્રભાવશાળી શબ્દોમાં પ્રતિક્રિયા આપતાં CJP પ્રવક્તાએ કહ્યું, "મને નથી લાગતું કે આ દેશના લોકોએ છેલ્લા ઘણા વર્ષોમાં આટલી ખુશી અનુભવી હોય. આ ખુશી માત્ર એક મંત્રીના રાજીનામાની નથી, પરંતુ દેશમાં લોકશાહીની પુનઃસ્થાપનાની છે. આ નાગરિક તરીકે આપણા અધિકારો અને જવાબદારીઓને પુનઃપ્રાપ્ત કરવાનો ઉત્સવ છે."
"37 દિવસનો સંગ્રામ ઇતિહાસમાં અમર થઈ ગયો"
આંદોલનની સફળતાને ઐતિહાસિક ગણાવતાં તેમણે અંતમાં જણાવ્યું હતું કે, આ એક અભૂતપૂર્વ અને મોટો વિજય છે. છેલ્લા 37 દિવસથી જે આંદોલન ચાલી રહ્યું હતું, તે ભારતના ઇતિહાસમાં એ ક્ષણ તરીકે યાદ રાખવામાં આવશે જ્યારે આ દેશનો યુવાન પોતાના દેશના ભવિષ્ય અને લોકશાહીના રક્ષણ માટે રસ્તા પર ઉતરી આવ્યો હતો."

