Iran Israel war: ભારતની લાલ આંખ! ‘ઉર્જા મથકોને નિશાન બનાવવાનું ટાળો, નહીં તો દુનિયા અંધકારમાં ધકેલાશે’

Iran Israel war: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ અને ઓઈલ-ગેસ પ્લાન્ટો પર થઈ રહેલા હુમલાઓ અંગે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકારે ગુરુવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, ઉર્જા મથકો પર થઈ રહેલા આવા હુમલા અસ્વીકાર્ય છે અને તેને તાત્કાલિક રોકવા જોઈએ. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે, ‘ઊર્જા મથકોને નિશાન બનાવવાનું ટાળો, નહીં તો વૈશ્વિક ઊર્જા ક્ષેત્ર વધુ અસ્થિર બનશે.’
આવા હુમલાઓથી વૈશ્વિક ઉર્જા ક્ષેત્ર વધુ અસ્થિર બનશે : ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે આ હુમલાઓને અત્યંત પરેશાન કરનારા ગણાવ્યા છે. તેમણે કહ્યું કે, આ હુમલાઓ પહેલેથી જ અનિશ્ચિતતાના તબક્કામાંથી પસાર થઈ રહેલા વૈશ્વિક ઉર્જા ક્ષેત્રને વધુ અસ્થિર બનાવશે. ભારત અગાઉ પણ સમગ્ર ક્ષેત્રમાં નાગરિક અને ઉર્જા બુનિયાદી માળખાને નિશાન બનાવવાથી બચવા માટે આહ્વાન કરી ચૂક્યું છે.
ઈઝરાયલ બાદ ઈરાને ઓઈલ-ગૅસ પ્લાન્ટ પર હુમલા કરતા વિશ્વ ચિંતિત
ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલ દ્વારા ઈરાનના સાઉથ પાર્સ ગૅસ ફિલ્ડ પર કરાયેલા હુમલાના જવાબમાં ઈરાને કતારના રાસ લાફાન સ્થિત LNG કેન્દ્ર સહિત અનેક ઉર્જા પ્રતિષ્ઠાનોને નિશાન બનાવ્યા છે. ઈરાને અગાઉ ચેતવણી આપી હતી કે તે કતાર, સાઉદી અરેબિયા અને યુએઈના તેલ-ગૅસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો કરશે અને ત્યારબાદ આ હુમલા શરૂ કરવામાં આવ્યા હતા. આ ચેતવણી બાદ વિશ્વભરની ચિંતા વધી ગઈ છે.
વિશ્વભરના દેશોની ચિંતા વધી
આ સંઘર્ષની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રન્ટ ક્રૂડ ઓઈલની કિંમત વધીને 116.38 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે, જે યુદ્ધ પહેલા 73 ડોલરથી ઓછી હતી. આ ઉપરાંત કુદરતી ગેસના યુરોપિયન TTF સ્ટાન્ડર્ડમાં પણ 24 ટકાનો મોટો ઉછાળો નોંધાયો છે, જેના કારણે વિશ્વભરના દેશોની ચિંતામાં વધારો થયો છે.

