સુપ્રીમ કોર્ટમાં બિહાર સરકારની કબુલાત, 69 FIR, AK-47થી ફાયરિંગ અને 500 લોકોની અટકાયત!

બિહારમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીનો મામલો દેશની સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બિહાર રાજ્ય સરકારે કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં પ્રદર્શનકારીઓ પર વગર કારણે બળપ્રયોગ કરવાના તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. સરકારનું કહેવું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં આ પ્રદર્શન હિંસક બન્યા હતા, જેમાં અનેક પોલીસ અધિકારીઓ, વહીવટી કર્મચારીઓ તેમજ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.
બિહારમાં 69 FIR અને 500 ધરપકડ
બિહાર સરકારના જણાવ્યા અનુસાર, 22 જુલાઈથી 25 જુલાઈ વચ્ચે યોજાયેલા આ પ્રદર્શનો સંદર્ભે કુલ 69 FIR દાખલ કરવામાં આવી છે અને આશરે 500 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, જે 222 વિદ્યાર્થી પ્રદર્શનકારીઓનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ નહોતો, તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, 18 વર્ષથી ઓછી વયના સગીરો, જેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહોતો, તેમને સામાન્ય બોન્ડ ભરાવીને છોડી દેવામાં આવ્યા છે. છપરામાં થયેલી હિંસા અંગે સરકારે જણાવ્યું કે ત્યાં બે BDO, ત્રણ પોલીસ ઇન્સ્પેક્ટર, બે સબ-ઇન્સ્પેક્ટર અને 11 કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા; જેમાં એક BDOએ પોતાની આંખ ગુમાવી છે અને બીજા અધિકારીને માથામાં ગંભીર ઈજા પહોંચી છે.
સિવાન અને હાથી ચોક ખાતે ફાયરિંગની ઘટનાઓ
અહેવાલ મુજબ, સિવાનમાં ભીડ વચ્ચે ઘેરાઈ ગયા બાદ એક કોન્સ્ટેબલે પોતાની AK-47 રાઇફલથી હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં કોઈને ઈજા પહોંચી નહોતી. ઘટના બાદ સંબંધિત કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ, હાથી ચોક ખાતે એક ASI દ્વારા 9 mm પિસ્તોલથી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ પ્રદર્શનકારીઓને મામૂલી ગોળી વાગી હતી. આ કેસમાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, ગોળીબારનું અંતર અને ફાયરિંગનો એંગલ જાણવા માટે બેલેસ્ટિક તપાસ ચાલી રહી છે.
ડિજિટલ ડેટા અને વીડિયો ફૂટેજ સુરક્ષિત રાખવા નિર્દેશ
સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર તમામ વીડિયો ફૂટેજ અને અન્ય રેકોર્ડ સુરક્ષિત રાખવા માટે એડિશનલ DGPને સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ પ્રદર્શનકારીઓનો અંગત ડેટા, ડિજિટલ માહિતી કે તેમની ઓળખ સોશિયલ મીડિયા અથવા અન્ય સાર્વજનિક માધ્યમો પર જાહેર ન કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.
દિલ્હી પોલીસે પણ સુપ્રીમ કોર્ટમાં પક્ષ રજૂ કર્યો
દિલ્હી પોલીસે પણ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને વિદ્યાર્થીઓ પર વધુ પડતો બળપ્રયોગ કર્યાના આક્ષેપો નકારી કાઢ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, 30,000થી વધુ પ્રદર્શનકારીઓને નિયંત્રિત કરવા 3 કિલોમીટરના વિસ્તારમાં 5 હજારથી વધુ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા. બૅરિકેડ તૂટ્યા બાદ સ્થિતિ અંકુશ બહાર જતાં ગ્રેડેડ ફોર્સનો ઉપયોગ કરાયો હતો. આ દરમિયાન 240થી વધુ પોલીસકર્મીઓ અને 200 જેટલા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા. પોલીસે દાવો કર્યો છે કે આ પ્રદર્શનમાં અસામાજિક તત્વો અને અગાઉના ગુનેગારો (હિસ્ટ્રીશીટર્સ) પણ સામેલ થઈ ગયા હતા.

