VIDEO: પંજાબના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ:PM મોદીને મળ્યા બાદ સુખબીર સિંહ બાદલની મોટી જાહેરાત
શિરોમણી અકાલી દળે એક મોટી જાહેરાત કરતા કહ્યું છે કે, તે મહિલા અનામત (Women's Reservation) અને સીમાંકન (Delimitation) બિલનું સમર્થન કરવા જઈ રહ્યું છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે શુક્રવારે અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્વની મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત બાદ પંજાબના રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે કે, બે જૂના સાથી પક્ષો ફરી એકવાર સાથે આવી શકે છે.
શું અકાલી-ભાજપનું ગઠબંધન થશે?
વર્ષ 2020માં ત્રણ કૃષિ કાયદાઓ અંગેના મતભેદોને કારણે અકાલી દળ અને ભાજપ વચ્ચેનો દાયકાઓ જૂનો સંબંધ તૂટી ગયો હતો. પરંતુ હવે બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસને પડકારવા માટે બંને પક્ષો ફરી એકવાર હાથ મિલાવી શકે છે. જોકે, હજુ સુધી ભાજપ કે, અકાલી દળ દ્વારા ગઠબંધન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અકાલી દળની લોકસભામાં તાકાત
હાલમાં લોકસભામાં અકાલી દળના માત્ર 1 સાંસદ છે, તેથી લોકસભામાં સાંસદોના આંકડાકીય સમીકરણોમાં બિલ પાસ કરાવવા માટે પાર્ટી શાસક NDAને વધુ મદદ કરી શકે તેમ નથી. આ જ કારણે એવી અટકળો વધુ છે કે, પંજાબની આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ સંમતિ બની રહી છે. રાજકીય વિશ્લેષકોના મતે પંજાબના ગ્રામીણ અને શીખ સમુદાય વચ્ચે અકાલી દળનો મજબૂત આધાર છે, જ્યારે ભાજપ શહેરી વિસ્તારોમાં સારો પ્રભાવ ધરાવે છે. બંનેનું ગઠબંધન થવાથી મોટો વોટર બેઝ સાથે જોડાય શકે છે.
અકાલી-ભાજપ ગઠબંધન કેટલું મજબૂત?
આ જ ગઠબંધનના જોરે વર્ષ 1997, 2007 અને 2012માં અકાલી દળ અને ભાજપની સંયુક્ત સરકારે પંજાબમાં સત્તા સંભાળી હતી. પરંતુ 2020માં રસ્તા અલગ થયા બાદ પછીની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. હવે ફરીથી સાથે આવવાના સંકેતોથી પંજાબનું રાજકારણ ગરમાયું છે.

