VIDEO: ‘વિદ્યાર્થીઓની લાગણી સર્વોપરી’ કહી BCI ચીફે માગી માફી, NALSAR વિવાદમાં આવ્યો નવો વળાંક
NALSAR Controversy and BCI Chief : NALSAR યુનિવર્સિટી સાથે જોડાયેલા તાજેતરના વિવાદ બાદ દેશભરના કાયદાના વિદ્યાર્થીઓમાં વ્યાપેલી નારાજગી અને વધતા ભારે દબાણ વચ્ચે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) ના ચેરમેન મનન કુમાર મિશ્રાએ સત્તાવાર રીતે માફી માંગી લીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જો તેમના કોઈ નિવેદન કે પત્રથી વિદ્યાર્થીઓની લાગણી દુભાઈ હોય તો તેઓ તેના માટે દિલથી ક્ષમાયાચના કરે છે.
વિદ્યાર્થીઓની નારાજગી અને દબાણ બાદ નમતું જોખ્યું
છેલ્લા કેટલાક દિવસોથી NALSAR યુનિવર્સિટી અને લો સ્ટુડન્ટ્સ સંબંધિત મુદ્દાઓ પર BCI ના વલણ અને પત્રો સામે દેશભરના વિદ્યાર્થીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાયદાના વિદ્યાર્થીઓનું માનવું હતું કે BCI દ્વારા તેમના અધિકારો અને રજૂઆતોને યોગ્ય રીતે સમજવામાં નથી આવી રહ્યા. આ મામલે કાનૂની વર્તુળોમાં પણ ભારે ચર્ચા જાગી હતી.
સ્થિતિ વધારે વણસતા BCI પ્રમુખ મનન કુમાર મિશ્રાએ આગળ આવીને પરિસ્થિતિને થાળે પાડવા વિસ્તૃત નિવેદન જારી કર્યું હતું.
'વિદ્યાર્થીઓની ચિંતાઓ પૂરતી સંવેદનશીલતાથી સાંભળવી જરૂરી'
પોતાના નિવેદનમાં BCI ચેરમેને સ્વીકાર્યું હતું કે જ્યારે પણ વિદ્યાર્થીઓ આહત અનુભવે, ત્યારે તેમની ફરિયાદો અને ચિંતાઓને પૂર્ણ સંવેદનશીલતા, ધીરજ અને આદર સાથે સાંભળવી જોઈએ.
તેમણે ઉમેર્યું કે, "જો આ વિવાદ સાથે જોડાયેલી કોઈ વાત, મારા નિવેદન કે BCI તરફથી જારી કરાયેલા પત્રથી દેશના લો સ્ટુડન્ટ્સની લાગણીઓને પહોંચી હોય, તો તે સ્વીકારવામાં મને કોઈ સંકોચ નથી. ખેદ વ્યક્ત કરવો કે માફી માંગવી એ કોઈની પ્રતિષ્ઠા કે અહંકારનો સવાલ ન હોવો જોઈએ. આ માત્ર એ વાતનો સ્વીકાર છે કે આપણા વિદ્યાર્થીઓની લાગણીઓ અને તેમની મુશ્કેલીઓ આપણી માટે સર્વોપરી છે."
રાજકીય રંગ ન આપવા અપીલ
મનન કુમાર મિશ્રાએ આશા વ્યક્ત કરી હતી કે હવે આ સમગ્ર મામલાને પરસ્પર મેળાપ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉકેલી લેવો જોઈએ. તેમણે બહારના તત્વો અને રાજકારણ પર નિશાન સાધતા અપીલ કરી હતી કે આ શૈક્ષણિક વિવાદને કોઈ પણ પ્રકારનો રાજકીય કે બાહ્ય રંગ ન મળવો જોઈએ, જેથી વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને ભવિષ્ય પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી શકે.

