VIDEO: E20 ફ્યુઅલના ભાવ ઘટાડવા અરવિંદ કેજરીવાલની પીએમ મોદીને અપીલ; સોશિયલ મીડિયા પર વીડિયો બનાવવા લોકોને કર્યું આહવાન
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ઇથેનોલ મિશ્રિત 'E20 ફ્યુઅલ' (પેટ્રોલ) ના મુદ્દે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. કેજરીવાલે જણાવ્યું છે કે E20 ઇંધણના કારણે વાહનોની માઇલેજ ઓછી મળી રહી હોવાથી તેના ભાવમાં પણ ઘટાડો થવો જોઈએ.
અરવિંદ કેજરીવાલે આ અંગે વાત કરતા કહ્યું, "... મેં વડાપ્રધાન મોદીને E20 ફ્યુઅલના ભાવ ઘટાડવા માટે અપીલ કરી છે. E20 ફ્યુઅલ ઓછી માઇલેજ આપે છે, તેથી તેની કિંમત પણ ઓછી હોવી જોઈએ... મેં આ મુદ્દે ચર્ચા કરવા માટે પીએમ મોદી પાસે મુલાકાતનો સમય (એપોઇન્ટમેન્ટ) પણ માંગ્યો છે."
સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવવા કરી અપીલ
E20 પેટ્રોલના કારણે વાહનોમાં આવી રહેલી ખામીઓ અને માઇલેજની સમસ્યાથી પરેશાન લોકોને અપીલ કરતા કેજરીવાલે કહ્યું, "હું આ સમસ્યાઓથી પરેશાન તમામ લોકોને કહેવા માંગું છું કે તેઓ આ અંગે પોતાના વીડિયો બનાવે અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે, કારણ કે આ સરકાર આપણું સાંભળશે નહીં, આપણે આપણો અવાજ મજબૂત કરવો પડશે."
નોંધનીય છે કે, કેજરીવાલે દાવો કર્યો છે કે E20 પેટ્રોલના કારણે સામાન્ય ગ્રાહકોને નુકસાન થઈ રહ્યું છે, તેથી સરકારે શુદ્ધ પેટ્રોલ (Pure Petrol) નો વિકલ્પ પણ ખુલ્લો રાખવો જોઈએ અને E20 ના ભાવ ઘટાડવા જોઈએ.

