VIDEO: અંકિત શર્મા મર્ડર કેસ: તાહિર હુસૈનને આજીવન કેદની સજા પર કોંગ્રેસ નેતા ઉદિત રાજની પ્રતિક્રિયા
દિલ્હીની કર્કરડૂમા કોર્ટે આઈબી અધિકારી અંકિત શર્માની હત્યા કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન અને અન્ય સહ-આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. આ ચુકાદા પર કોંગ્રેસ નેતા ઉદિત રાજે પોતાની પ્રતિક્રિયા આપતાં કાનૂની પ્રક્રિયા અને ઉપાયો અંગે વાત કરી છે.
"ન્યાયિક પ્રક્રિયા પર ટિપ્પણી ન થઈ શકે, પણ અપીલનો માર્ગ ખુલ્લો"
કોર્ટના આ નિર્ણય અંગે વાત કરતા કોંગ્રેસ નેતા ઉદિત રાજે જણાવ્યું હતું કે, "આ એક ન્યાયિક પ્રક્રિયા છે, તેથી કોર્ટના ચુકાદા પર સીધી ટિપ્પણી કરી શકાય નહીં. જોકે, તાહિર હુસૈનના સગા-સંબંધિઓ અને પરિવારના સભ્યો પાસે કાનૂની વિકલ્પો ઉપલબ્ધ છે. તેમણે ઉપલી કોર્ટમાં અપીલ કરવી જોઈએ."
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આવા કેસોમાં અપીલ દાખલ કરવામાં આવતી જ હોય છે અને ભૂતકાળમાં પણ ઘણા કેસોમાં ઉપલી અદાલતોમાંથી રાહત મળતી જોવા મળી છે. તેથી આગળની કાનૂની કાર્યવાહી માટેના રસ્તાઓ હજુ ખુલ્લા છે."
શું હતો મામલો?
ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણો દરમિયાન આઈબી અધિકારી અંકિત શર્માની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હાઈપ્રોફાઈલ કેસમાં દિલ્હીની કર્કરડૂમા કોર્ટે પૂર્વ કાઉન્સિલર તાહિર હુસૈન સહિતના આરોપીઓને દોષી ઠેરવીને આજીવન કેદની સજા સંભળાવી છે, જેના પર હવે રાજકીય અને કાનૂની વર્તુળોમાં પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

