Bihar Election: અમિત શાહના લાલુ-રાહુલ પર પ્રહાર; RJD સુપ્રીમોનો સત્તા પરિવર્તનનો દાવો

બિહારમાં 6 નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. એવામાં પ્રથમ તબક્કાનો પ્રચાર અંતિમ દિવસોમાં પહોંચી ગયો છે.PM મોદીથી લઇને રાહુલ ગાંધી, અમિત શાહ બિહારમાં જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે.આ દરમિયાન એક જનસભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, 14 નવેમ્બરે સવારે 8 વાગ્યે મતપેટી ખુલશે અને 1 વાગ્યા સુધી લાલુ-રાહુલના સૂપડા સાફ થઇ જશે. બીજી તરફ RJDના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે બિહારમાં સત્તા પરિવર્તન થવાની આશા વ્યક્ત કરી હતી.
અમિત શાહના RJD પર પ્રહાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દાવો કર્યો કે બિહારમાં NDAની સરકાર બનશે અને 14 નવેમ્બરે બપોરે એક વાગ્યા સુધી રાજ્યમાં RJDનો સફાયો થઇ જશે. ભારતીય જનતા પાર્ટી (BJP)ના સીનિયર નેતા અમિત શાહે શિવહરમાં ચૂંટણી રેલી દરમિયાન બિહાર માટે જાહેર કેટલીક પરિયોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો અને નવી પરિયોજનાઓ શરૂ કરવાનું વચન આપ્યું હતું. રાજ્યની 243 સભ્યોની વિધાનસભા માટે ચૂંટણી બે તબક્કામાં 6 અને 11 નવેમ્બરે યોજાશે જ્યારે ચૂંટણીનું પરિણામ 14 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે સીતા મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠાના દિવસે સીતામઢીમાંથી અયોધ્યા સુધી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. અમિત શાહે કહ્યું કે મિથિલા-કોશીમાં પૂરને રોકવા માટે 11 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓ જાહેર છે. સોનબરસા નાનપુરમાં 505 એકર ભૂભાગમાં ઔદ્યોગિક પાર્ક સ્થાપવામાં આવશે તથા મિથિલાંચલને 500 કરોડ રૂપિયાના ખર્ચે વૈશ્વિક જ્ઞાન કેન્દ્રના રૂપમાં વિકસિત કરવામાં આવશે.
પટણામાં RJD પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, આ વખતે તેજસ્વી યાદવ મુખ્યમંત્રી બનશે અને 14 નવેમ્બરે બિહારમાં સરકાર બદલાઇ જશે.
નીતિશ કુમાર પર પ્રિયંકા ગાંધીએ સાધ્યુ નિશાન
લખીસરાયમાં કોંગ્રેસ મહાસચિવ અને સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, આજે જેમ બિહારની જનતાની સુનાવણી નથી તેમ નીતિશ કુમારની પણ કોઇ સુનાવણી થતી નથી. આ 'ડબલ' એન્જિનની નહીં, 'સિંગલ એન્જિન'ની સરકાર છે. બિહારની સરકાર નરેન્દ્ર મોદી ચલાવી રહ્યા છે અને તમામ નિર્ણય દિલ્હીથી લેવામાં આવી રહ્યા છે. આ જ બિહારની અસલિયત છે.

