મહાયુદ્ધ વચ્ચે AIR INDIAનો મોટો નિર્ણય, અબુ ધાબી અને દુબઈની ફ્લાઈટ્સ કરી રદ, હજારો મુસાફર અટવાયા!

મધ્ય પૂર્વ (Middle East)માં ઘેરાતા યુદ્ધના વાદળોને કારણે આંતરરાષ્ટ્રીય હવાઈ વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે. અનેક દેશો દ્વારા પોતાના એરસ્પેસ (વાયુ ક્ષેત્ર) બંધ કરવા અથવા નિયંત્રણો લાદવાને કારણે વૈશ્વિક ફ્લાઈટ્સનું આખું શિડ્યુલ ખોરવાઈ ગયું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)ની એરપોર્ટ ઓથોરિટી દ્વારા જારી કરાયેલ નવી સૂચનાઓ બાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ્સ પર પણ મોટી અસર પડી છે.
15 માર્ચ 2026 માટે નિર્ધારિત ઘણી 'એડ-હોક' (ad-hoc) ફ્લાઈટ્સ રદ કરવી પડી છે, જેના કારણે ભારત અને યુએઈ વચ્ચે મુસાફરી કરતા સેંકડો મુસાફરો અટવાયા છે. એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે દુબઈ એરપોર્ટ ઓથોરિટીની સૂચનાઓને કારણે તેને પોતાની ફ્લાઈટ્સ ઘટાડવાની ફરજ પડી છે. એર ઈન્ડિયાની દિલ્હી-દુબઈ રૂટ પર માત્ર એક જ રિટર્ન ફ્લાઈટ કાર્યરત રહેશે, જ્યારે પાંચમાંથી ચાર નિર્ધારિત ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.
મિડલ ઈસ્ટ સંકટથી હવાઈ મુસાફરી પ્રભાવિત, ભારતમાં 180 ફ્લાઈટ્સ કેન્સલ, એડવાઈઝરી જારી
દુબઈ: એર ઈન્ડિયા એક્સપ્રેસની દુબઈ માટેની છમાંથી પાંચ ફ્લાઈટ્સ રદ છે, માત્ર એક દિલ્હી-દુબઈ રિટર્ન ફ્લાઈટ ચાલશે.
અબુ ધાબી: અબુ ધાબી માટેની એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ પાંચેય ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે.
શારજાહ: એર ઈન્ડિયા એક્સપ્રેસ દિલ્હી, કન્નૂર, કોચી, કોઝિકોડ, મુંબઈ અને તિરુવનંતપુરમ માટે ફ્લાઈટ્સ સંચાલિત કરવાની યોજના બનાવી રહી છે.
રાસ અલ ખૈમાહ: કોઝિકોડ અને કોચી માટે ફ્લાઈટ્સ ચાલશે.
કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ફ્લાઈટ્સ પણ સ્લોટની ઉપલબ્ધતા અને ઓપરેશનલ સમયની સ્થિતિ પર નિર્ભર રહેશે. મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ એરપોર્ટ જવા માટે નીકળતા પહેલા પોતાની ફ્લાઈટનું સ્ટેટસ ચોક્કસપણે ચેક કરી લે.

