મુંબઈમાં લેન્ડિંગ સમયે AIR INDIA પ્લેનના ટાયર ફાટ્યા, રન વેથી ઉતરી ગયું; મોટી દુર્ઘટના ટળી

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં એક મોટી દુર્ઘટના ટળી ગઈ. એર ઈન્ડિયાનું એક વિમાન લેન્ડિંગ દરમિયાન રનવેની બહાર નીકળી ગયું હતું. મુંબઈમાં વરસાદને કારણે વિમાન રનવેની બહાર નીકળી ગયું. જોકે, લેન્ડિંગ દરમિયાન વિમાનની ગતિ ધીમી હોવાથી કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, વિમાનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. તમામ મુસાફરો અને ક્રૂને વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા છે. એરપોર્ટ પર જ વિમાનને રોકી લઈ આ મામલે તપાસ આદરી છે.
કોચ્ચિથી મુંબઈ આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટ સોમવારે સવારે લેન્ડિંગ દરમિયાન રન-વે પરથી લપસી ગયાના અહેવાલ સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી અને વિમાનના ત્રણ ટાયર ફાટી ગયા હતા. જેના લીધે વિમાન લપસીને રન-વેથી ઉતરી ગયું હતું.
વિમાન સુરક્ષિત રીતે ગેટ પર પહોંચી ગયું
એર ઈન્ડિયાનું આ વિમાન કેરળના કોચીથી મુંબઈ આવી રહ્યું હતું. મુંબઈમાં લેન્ડિંગ દરમિયાન વિમાન રનવેની બહાર નીકળી ગયું. ઉડ્ડયન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિત રીતે ઉતરી ગયું છે. આ વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો વિમાનમાંથી નીચે ઉતરી ગયા છે. 21 જુલાઈ 2025 ના રોજ, કોચીથી મુંબઈ જતી ફ્લાઇટ નંબર AI2744 એરપોર્ટ પર લેન્ડિંગ કરતી વખતે ભારે વરસાદને પગલે એરપોર્ટ પર લેન્ડિંગ પછી રનવેની બહાર નીકળી ગઈ હતી. વિમાન સુરક્ષિત રીતે ગેટ પર પહોંચી ગયું હતું.
DGCA કરી રહ્યું છે પરિસ્થિતિનું મૂલ્યાંકન
DGCA ની એક ટીમ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહી છે. વિમાનને તપાસ માટે રોકવામાં આવ્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (CSMIA) ના પ્રવક્તાએ કહ્યું, "બધા મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. એરપોર્ટના મુખ્ય રનવે, 09/27 ને નજીવું નુકસાન થયું હોવાની જાણ કરવામાં આવી છે. કામગીરી ચાલુ રાખવા માટે સ્પેર રન વે 14/32 સક્રિય કરવામાં આવ્યો છે.

