વૃદ્ધ માતા-પિતા બાળકોને સંપત્તિમાંથી કરી શકે છે બેદખલ, સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો; હાઈકોર્ટનો આદેશ પલટાવ્યો

સુપ્રીમ કોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, વરિષ્ઠ નાગરિકો પોતાના બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. કોર્ટે કહ્યું કે, વધતી ઉંમરનો અર્થ અસુરક્ષા કે અપમાન ન હોવો જોઈએ, દરેક વ્યક્તિને જીવનભર ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના એ આદેશને પણ પલટી નાખ્યો, જેમાં દીકરા અને પુત્રવધૂને મકાનમાંથી બેદખલ કરવાના ટ્રિબ્યુનલ કોર્ટના આદેશને રદ કરવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું કે, વૃદ્ધોની ગરિમા માટે ટ્રિબ્યુનલ પાસે બાળકોને સંપત્તિમાંથી બહાર કાઢવાનો આદેશ આપવાનો અધિકાર છે.
જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની બેન્ચે સુનાવણી કરતા કહ્યું કે, કાયદાનો હેતુ વૃદ્ધોની ગરિમા અને સુરક્ષા નક્કી કરવાનો છે. સભ્ય સમાજનું સ્તર એ વાતથી નક્કી થાય છે કે, તે પોતાના વૃદ્ધોને કેટલી ગરિમા, સન્માન અને સુરક્ષા આપે છે.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો લખનઉના વિકાસ નગર સ્થિત એક રહેણાંક મકાનના માલિક રવિકાંત ગુપ્તા દ્વારા દાખલ અપીલ પર આવ્યો છે. તેમણે અલાહાબાદ હાઈકોર્ટના એ ફેંસલાને પડકાર્યો હતો, જેમાં તેમના દીકરા અને પુત્રવધૂ વિરુદ્ધના આદેશોને રદ કરી દેવામાં આવ્યા હતા. મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે રવિકાંત ગુપ્તાની 81 વર્ષીય માતાને કથિત રીતે જબરદસ્તી વૃદ્ધાશ્રમમાં મોકલી દેવામાં આવ્યા. ત્યારબાદ રવિકાંતે 5 જૂન 2022ના રોજ જિલ્લા મેજિસ્ટ્રેટ સામે 2007 અધિનિયમ હેઠળ પોતાના દીકરાને સંપત્તિમાંથી બેદખલ કરવાની માંગ કરી.
જિલ્લા મેજિસ્ટ્રેટે દીકરાને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આપ્યો આદેશ
સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે 15 નવેમ્બર 2022ના એક આદેશમાં જોવા મળ્યુ કે, સંપત્તિ રવિકાંત ગુપ્તાની સ્વ-ઉપાર્જિત (સ્વયં કમાયેલી) સંપત્તિ હતી, અને SDMએ નોંધ્યું કે, તેમના દીકરાએ પોતાની દાદીને ઘરમાં રહેવાની પરવાનગી આપી ન હતી, અને ઉપદ્રવ કર્યો હતો. એવામાં જિલ્લા મેજિસ્ટ્રેટે દીકરાને સંપત્તિમાંથી બેદખલ કરવાનો આદેશ આપ્યો. જિલ્લા મેજિસ્ટ્રેટે બાદમાં 9 ઓગસ્ટ 2023ના રોજ પોતાના આદેશને યથાવત્ રાખતા દીકરા અને તેની પત્નીને મકાનનો કબ્જો રવિકાંત ગુપ્તાને સોંપવાનો નિર્દેશ આપ્યો. આ પછી દીકરા અને તેની પત્નીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં આદેશોને પડકાર્યા હતા.
SC એ હાઈકોર્ટના આદેશને કર્યો રદ
હાઈકોર્ટે પહેલાના એક ચુકાદાનો હવાલો આપતા કહ્યું કે, માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને કલ્યાણ અધિનિયમ હેઠળ અધિકારીઓને બેદખલીનો આદેશ પાસ કરવાનો અધિકાર નથી. એવામાં હાઈકોર્ટે એસડીએમ અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશોને રદ કરી દીધા. ત્યારબાદ જ્યારે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, તો સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, હાઈકોર્ટે ટ્રિબ્યુનલના બેદખલીના આદેશમાં હસ્તક્ષેપ કરીને ભૂલ કરી છે, કારણ કે આ એક સ્થાપિત કાયદો છે કે, ટ્રિબ્યુનલ પાસે વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ અને સંરક્ષણના ઉદ્દેશ્યથી બેદખલીનો આદેશ આપવાનો અધિકાર છે.

