VIDEO: નેપાળ બાદ હવે ભારત પર પણ સંકટ? સિક્કિમમાં 300થી વધુ હિમસરોવર, 10થી વધુ ગમે ત્યારે ફાટવાની આશંકા!
કાઠમંડુ : નેપાળમાં માત્ર એક હિમશિખરના પીગળવાથી બુધવારે આવેલા વિનાશક ફ્લેશ ફ્લડે ભારે તારાજી સર્જી છે. નેપાળ ત્રણ દિવસ કરતાં વધુ સમય પછી પણ આ આપત્તીમાંથી બહાર આવી શક્યું નથી. જોકે, નેપાળમાં પાંચ મહિના પહેલાં જ આવી કોઈ આપત્તી આવી શકે તેવી આશંકા વ્યક્ત કરાઈ હતી. કાઠમંડુ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના બે રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, હિમાલયના હિમશિખરો તિવ્ર ગતિએ પીગળી રહ્યા છે. આ રિપોર્ટની અવગણનાની નેપાળ સરકારે ભારે કિંમત ચૂકવવી પડી છે.
હિન્દુ કુશ હિમાલયનું વિશાળ ક્ષેત્ર માત્ર પર્વતો જ નથી પરંતુ તેને એશિયાનું વોટર ટાવર કહેવાય છે, કારણ કે તે દુનિયામાં લગભગ બે કરોડની વસતીની તરસ છીપાવતા હિમશિખરોની ગરજ પૂરી પાડે છે. જોકે, કાઠમંડુ સ્થિત ઈન્ટરનેશનલ સેન્ટર ફોર ઈન્ટિગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટે તેના બે તાજા રિપોર્ટોમાં ચેતવણી આપી હતી કે, વર્ષ ૨૦૦૦ પછીથી હિમાલયમાં હિમશિખરોના પીગળવાની ગતિ બમણી થઈ ગઈ છે. ૧૯૭૫ના સમય સાથે સરખામણી કરવામાં આવે તો બરફની જાડાઈમાં ૨૭ મીટર સુધીનો ભારે ઘટાડો આવી ગયો છે.
આઈસીઆઈએમઓડીના આ વર્ષે માર્ચમાં પ્રકાશિત રિપોર્ટમાં સ્પષ્ટ ચેતવણી અપાઈ હતી કે, ૧૯૯૦ અને ૨૦૨૦ વચ્ચે હિન્દુ કુશ હિમાલયના હિમશિખરોએ તેમના કુલ ક્ષેત્રફળના લગભગ ૧૨ ટકા અને અંદાજિત બરફ ભંડારના ૯ ટકા હિસ્સો ગુમાવી દીધો છે. એક રિપોર્ટમાં હિન્દુ કુશ હિમાલયના ગ્લેશિયર આઉટલૂક ૨૦૨૬માં ૩૮ નિરીક્ષણવાળા ગ્લેશિયરોના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું.
આઈસીઆઈએમઓડીના રિપોર્ટ મુજબ ઉત્તર-દક્ષિણ ધુ્રવોની બહાર હિન્દુ કુશ હિમાલયમાં સૌથી વધુ બરફ જોવા મળે છે, જ્યાં ૫૫,૦૦૦ વર્ગ કિ.મી. કરતાં વધુ વિસ્તારમાં ૬૩,૭૦૦થી વધુ હિમશિખરો ફેલાયેલા છે. આ એશિયાની ૧૦ મુખ્ય નદી સિસ્ટમોના પાણીનો સ્રોત છે.
એ જ રીતે ઈસરોના ૧૯૮૪થી ૨૦૨૩ સુધીના ડેટા મુજબ સમગ્ર હિમાલયમાં ૨૪૩૧ સરોવર એવા છે જે ૧૦ હેક્ટરથી વધુ મોટા છે, જેમાં ૬૭૬ સરોવર ૧૯૮૪ પછી તિવ્ર ગતિએ વધ્યા છે. આ સરોવરોમાંથી ૧૩૦ સરોવર હિમાલયના ભારતીય વિસ્તારમાં આવેલા છે. ૬૫ સરોવર સિંધુ નદીમાં, ૭ સરોવર ગંગા અને ૫૮ સરોવર બ્રહ્મપુત્રા નદીના બેઝિનમાં છે. ૧૦ હેક્ટરથી મોટા ૬૭૬ સરોવરોમાંથી ૬૦૧ સરોવર વધુ મોટા થઈ ગયા છે. ૧૦ સરોવર દોઢથી બમણા સુધી મોટા થયા છે અને ૬૫ સરોવર દોઢ ગણા સુધી મોટા થઈ ગયા છે. આગામી સમયમાં ભારતમાં પણ નેપાળ જેવી મોટી આફત સર્જાઈ શકે છે તેવી નિષ્ણાતોએ ચેતવણી આપી છે. ભારતમાં એકલા સિક્કિમમાં જ ૩૦૦થી વધુ હિમશિખરોના સરોવર છે, જેમાં ૧૦થી વધુ સરોવર ગમે ત્યારે તૂટવાની આશંકા વ્યક્ત કરાઈ ચૂકી છે.
ભૂ-વૈજ્ઞાનિકોના અનેક રિસર્ચ પેપર્સમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચ દાયકામાં અહીં હિમશિખરો અંદાજે ૨ કિ.મી. પાછળ ખસી ગયા છે અને તેના દ્વારા છોડવામાં આવેલી જગ્યા પર એક સરોવર સતત મોટું થઈ રહ્યું હતું. આ રિપોર્ટમાં નિષ્ણાતોએ આ સરોવર ગમે ત્યારે ફાટશે તેવી ચેતવણી આપી હતી અને દુર્ભાગ્યે ઓક્ટોબર ૨૦૨૩માં સરોવર તૂટયું હતું.

