BJP પછી હવે RSSમાં મોટા ફેરફારના એંધાણ, 'કોકરોચ પ્રોટેસ્ટ'ની જોવા મળશે વ્યાપક અસર

ભારતીય જનતા પાર્ટી (BJP)માં સંગઠનાત્મક ફેરફાર બાદ હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માં પણ આગામી સમયમાં મોટા ફેરફાર થવાની ચર્ચા તેજ બની છે. બદલાતા સામાજિક અને રાજકીય વાતાવરણ વચ્ચે સંઘ હવે નવી પેઢી, ખાસ કરીને Gen-Z અને Gen-Alpha સાથે વધુ મજબૂત સંપર્ક સ્થાપિત કરવા પર ધ્યાન આપી રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ભાજપે પોતાની નવી સંગઠન ટીમ દ્વારા યુવા નેતૃત્વને વધુ મહત્વ આપવાનું શરૂ કર્યું છે. પાર્ટીમાં યુવા નેતાઓને નિર્ણય લેવાની વધુ સ્વતંત્રતા આપવામાં આવી રહી છે, જ્યારે અનુભવી નેતાઓ માર્ગદર્શન અને સલાહની ભૂમિકા ભજવશે. ભાજપના આ સંગઠનાત્મક બદલાવની અસર હવે સંઘના માળખામાં પણ જોવા મળી શકે તેવી ચર્ચા છે.
ભાજપમાં દર દાયકામાં જોવા મળ્યા છે ફેરફાર
ભાજપની સ્થાપના વર્ષ 1980માં થઈ ત્યારથી પાર્ટીના સંગઠનમાં સમયાંતરે પેઢીગત ફેરફારો થતા આવ્યા છે. 1990ના દાયકામાં પણ પાર્ટીના સંગઠનમાં મોટી સંખ્યામાં યુવા નેતાઓને મહત્વની જવાબદારીઓ આપવામાં આવી હતી. તે સમયગાળામાં નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ આગળ આવ્યા હતા.
હવે ફરી એક વખત બદલાતી પેઢી પ્રમાણે સંગઠનને નવી દિશા આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. યુવા નેતૃત્વને નિર્ણય લેવાની વધુ તક આપવાની સાથે અનુભવી નેતાઓના અનુભવનો ઉપયોગ કરવાની રણનીતિ અપનાવવામાં આવી રહી છે.
આવતા વર્ષે RSSમાં પણ ફેરફારની શક્યતા
રિપોર્ટ અનુસાર, ભાજપના સંગઠનાત્મક ફેરફાર બાદ RSSમાં પણ આવતા વર્ષે કેટલાક મહત્વપૂર્ણ બદલાવ થઈ શકે છે. ખાસ કરીને Gen-Z અને Gen-Alphaને ધ્યાનમાં રાખીને સંઘ પોતાની કાર્યપદ્ધતિ અને યુવાનો સાથેનો સંપર્ક વધુ મજબૂત કરી શકે છે.
જોકે, RSSના સરસંઘચાલક મોહન ભાગવતને બદલવાની કોઈ ચર્ચા હાલ નથી. મોહન ભાગવત વર્ષ 2009થી આ જવાબદારી સંભાળી રહ્યા છે. સંઘમાં સરસંઘચાલકની પસંદગી ચૂંટણી દ્વારા થતી નથી, પરંતુ સામાન્ય રીતે સહમતિથી નિર્ણય લેવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયા વચ્ચે આગામી સમયમાં ભાજપ અને RSS બંનેમાં યુવા પેઢીની ભૂમિકા વધે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

