VIDEO: અયોધ્યા રામ મંદિરના વહીવટમાં મોટો બદલાવ! અશોક સિંઘલના સંબંધી સહિત 3 નવા ટ્રસ્ટી નિમાયા, જાણો કોણ છે નવા CEO
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ માટે નવા ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર(CEO)ની જાહેરાત કરી દેવાઈ છે. નવા CEO તરીકે નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાના નામ પર અંતિમ મહોર લાગી ગઈ છે અને તેઓ ટૂંક સમયમાં મંદિર વહીવટની મુખ્ય જવાબદારીઓ સંભાળશે.
ટ્રસ્ટમાં 3 નવા સભ્યોનો સમાવેશ
અયોધ્યામાં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા CEOની સત્તાવાર જાહેરાત પહેલાં ટ્રસ્ટમાં 3 નવા સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. આ નવા સભ્યોમાં અયોધ્યાથી મદન મોહન પાંડે, દિલ્હીથી મહેશ ભાગચંદકા અને શિકોહાબાદથી નિર્મલા યાદવનો સમાવેશ થાય છે.
જગ્યાઓ ખાલી થતાં લેવાયો નિર્ણય
ચંપત રાય અને અનિલ મિશ્રાના રાજીનામા તેમજ વિમલેન્દ્ર મોહનના નિધન બાદ ટ્રસ્ટમાં 3 પદો ખાલી પડ્યા હતા. નવા બનેલા ટ્રસ્ટીઓ પૈકી મહેશ ભાગચંદકા અશોક સિંઘલના સંબંધી છે, જ્યારે મદન મોહન પાંડે હાઇકોર્ટમાં મંદિર પક્ષ તરફથી વકીલ રહી ચૂક્યા છે. આ ત્રણેય નવા સભ્યો ટ્રસ્ટની બેઠકમાં ઓનલાઇન માધ્યમથી જોડાયા હતા.
નવા CEOની નિમણૂક અંગે બેઠક
બુધવારે મંદિરના પ્રથમ CEOના નામની જાહેરાતને લઈને ટ્રસ્ટની મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ. બેઠક દરમિયાન નિવૃત્ત એર માર્શલ જિતેન્દ્ર મિશ્રાની પસંદગી કરવામાં આવી છે.
CEO પદ માટે હજારો અરજીઓ
CEO પદ માટે દેશભરમાંથી કુલ 5,585 અરજીઓ આવી હતી. નિવૃત્ત જસ્ટિસ પ્રમોદ કોહલી(Pramod Kohli)ના વડપણ હેઠળની સ્ક્રીનિંગ કમિટીએ 16 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને અંતિમ 3 નામોની યાદી બંધ કવરમાં ટ્રસ્ટના અધ્યક્ષને સોંપી હતી.

