ભારતમાં દુષ્કાળ અને મોંઘવારીનો ડબલ એટેક? 2027માં ધરતી બનશે ભઠ્ઠી, વૈજ્ઞાનિકોની ચેતવણીથી દુનિયામાં ફફડાટ

ધરતી પર ગરમીનું એક મોટું સંકટ દસ્તક આપી રહ્યું છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ વર્ષનો અલ નીનો (El-Nino) 100 વર્ષથી પણ વધુ સમયમાં સૌથી શક્તિશાળી હોઈ શકે છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધવાની આશંકા છે. તેની અસર વિશ્વભરના હવામાન પર પડી શકે છે, અને વર્ષ 2027 અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બની શકે છે. ભારત માટે આ ખતરો વધુ મોટો છે. અહીં નબળા ચોમાસાની સાથે રવી અને આગામી પાક પર પણ માઠી અસર થવાની આશંકા છે. એટલે કે, દેશને ગરમી અને ખેતી, બંને મોરચે મોટા પડકારોનો સામનો કરવો પડી શકે છે.
અલ નીનોની ગંભીર ચેતવણી
બ્રિટનના હવામાન વિભાગ (Met Office)એ અલ નીનો અંગે ગંભીર ચેતવણી જાહેર કરી છે. યુએસ ઓશિયાનિક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન (NOAA) અનુસાર, પ્રશાંત મહાસાગરનું તાપમાન નવેમ્બર સુધીમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી શકે છે. આટલો મોટો ફેરફાર આધુનિક ક્લાઈમેટ રેકોર્ડમાં પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.
2027માં તૂટી શકે છે ગરમીનો રેકોર્ડ
અલ નીનોની સૌથી મોટી અસર તે શરૂ થયાના આગામી વર્ષે જોવા મળતી હોય છે. આથી વૈજ્ઞાનિકોને ડર છે કે, 2027નું વર્ષ 2024ને પાછળ છોડીને ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ બનશે. 2024માં વૈશ્વિક સરેરાશ તાપમાન ઔદ્યોગિક ક્રાંતિ પહેલાના સ્તરથી 1.5 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધી ગયું હતું, જે આંતરરાષ્ટ્રીય જલવાયુ લક્ષ્યો માટે ચિંતાજનક છે.
ભારતમાં નબળું પડી શકે છે ચોમાસું
અલ નીનોની સીધી અસર ભારતના ચોમાસા પર પડે છે. મજબૂત અલ નીનો સામાન્ય રીતે ભારતમાં ઓછા વરસાદ સાથે જોડાયેલો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ વખતે વરસાદ લાંબા ગાળાની સરેરાશના 90% રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે છેલ્લા 11 વર્ષમાં સૌથી ઓછો અંદાજ છે. મેરીલેન્ડ યુનિવર્સિટીના પ્રોફેસર રઘુ મુર્તુગુડ્ડેના જણાવ્યા મુજબ, ભારત પર તેની બેવડી અસર પડશે. આ વર્ષના રવી પાકથી લઈને 2027ની ખેતી સુધી તેની અસર જોવા મળશે. ઓછો વરસાદ અને વસંતઋતુ દરમિયાન ભારે ગરમીના કારણે પાકને મોટું નુકસાન થઈ શકે છે, જે ખાદ્ય ઉત્પાદન અને મોંઘવારી માટે મોટો પડકાર બનશે.

