કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી, પ્રયાગરાજમાં 9 શ્રમિકોના મોત
પ્રયાગરાજના ફાફામઉ વિસ્તારમાં આજે સોમવારે(23 માર્ચ) કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા દીવાલ ધરાશાયી થઈ હતી. મોટી દુર્ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં 9 શ્રમિકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.
યુપીના પ્રયાગરાજમાં કોલ્ડ સ્ટોરેજમાં ગેસ પાઇપ ફાટતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં દીવાલ ધરાશાયી થતાં ઘટના સમયે કામ કરી રહેલા અનેક શ્રમિકો કાટમાળ નીચે ફસાયા હતા. કોલ્ડ સ્ટોરેજ ચાંદપુરના ભૂતપૂર્વ ધારાસભ્યની હોવાનું જણાય છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દીવાલ તૂટી પડે તે પહેલાં વિસ્ફોટ જેવો જોરદાર અવાજ સંભળાયો હતો, જેના કારણે આખી દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ હતી.
અમોનિયા ગેસની પાઈપ ફાટી
મળતી માહિતી મુજબ, દુર્ઘટનાને પગલે અમોનિયા ગેસની પાઈપ ફાટી હોવાનું સામે આવ્યું છે. પાઈપ ફાટવાથી ગેસ લિકેજ થતાં સ્થિતિ વધુ ગંભીર બની છે. ગેસ લિકેજના કારણે ઘટનાસ્થળે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે, દુર્ઘટના સમયે કોલ્ડ સ્ટોરેજની અંદર 20 જેટલાં શ્રમિકો કામ કરી રહ્યા હતા. જ્યારે દીવાલ ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હતા.
સમગ્ર ઘટનાને લઈને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. જો કે, દુર્ઘટનાને પગલે ગુસ્સે ભરાયેલા લોકોએ એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કર્યો હોવાનું જણાય છે. જ્યારે પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું છે.
રેસ્ક્યૂ ઓપરેશન શરૂ
અત્યારસુધીમાં 9 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. JCBથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને જોતા પ્રયાગરાજના પોલીસ કમિશનર અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.
અનેક શ્રમિકોની હાલત ગંભીર
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સ્વરૂપ રાણી હોસ્પિટલ(SRN)માં લઈ જવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગના લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, 'બપોરના જમવાના સમયે બધા ભોજન પૂર્ણ કરીને આરામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દીવાલ ધરાશાયી થઈ હતી. જેમાં અંદરથી કોઈ પણ ભાગી શક્યું નહીં. અમે કોઈક રીતે અમારા જીવ બચાવવામાં સફળ રહ્યા.'

