VIDEO : 'પેટ્રોલ- ડીઝલ મુદ્દે ખોટી અફવાઓથી દૂર રહો', પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખે આપ્યું નિવેદન
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જવાની અફવા કે પછી લોકોના મનમાં રહેલા ભયને કારણે લોકોએ પેટ્રોલ પંપ પર લોકોએ લાંબી કતારો લગાવી હતી. પેટ્રોલ મુદ્દે પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે કહ્યું કે, ડિલરોને પૂરતો પેટ્રોલનો જથ્થો મળી રહ્યો છે. એટલે કોઈએ લાંબી લાઈનો લગાવવાની જરૂર નથી. પેટ્રોલ અને ડિઝલના સપ્લાયમાં ઓઈલ કંપની કે સરકાર તરફથી કોઈ એવા આદેશ પણ મળ્યા નથી કે તમારે પેટ્રોલ ડીઝલ ઓછું વેચવાનું. ત્રણ ચાર પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાથી માર્કેટમાં આવી ખોટી અફવા ફેલાઈ છે.
રાજ્ય પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ, જનતાએ સંગ્રહખોરી કે પેનિક કરવાની કોઈ જરૂર નથી..." હર્ષ સંઘવી
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવા સંદર્ભે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ બાબતે દર બે દિવસે ખાસ રિવ્યૂ લઈ રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ નાગરિકોને વિનંતી કરી છે કે સોશિયલ મીડિયામાં વહેતી થતી ખોટી માહિતી કે અફવાઓ પર વિશ્વાસ ન કરવો અને આવી અફવાઓ ફેલાવવી પણ નહીં. ઈંધણ જથ્થાના મુદ્દે એક મહત્ત્વની બેઠક યોજવામાં આવી હતી. રાજ્યના તમામ પેટ્રોલ પંપ પર ઈંધણ નિયમિત રીતે મળી રહે તે માટે સતત રિવ્યૂ લેવામાં આવી રહ્યાં છે. જો ક્યાંય સપ્લાયમાં ટેકનિકલ કે અન્ય કોઈ ઇસ્યૂ હશે તો તેની તાત્કાલિક નોંધ લઈને નિરાકરણ લાવવામાં આવશે. જો રાજ્યમાં ક્યાંય પણ ઈંધણની તંગી કે અફવા ફેલાવવાની જાણકારી મળે, તો તે મુદ્દે તત્કાલિક ધોરણે જરૂરી પગલાં લેવા માટે તંત્રને સજ્જ કરી દેવામાં આવ્યું છે. રાજ્યમાં ઈંધણની વ્યવસ્થા સુચારુ છે અને તંત્ર પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યું છે.લોકોએ અફવામાં આવી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરુર નથી.

