VIDEO: ચીન સરહદે ફસાયા 400 ભારતીયો! નેપાળમાં જળપ્રલય વચ્ચે ભારતે મોકલી ટનબંધ સામગ્રી: વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા
નેપાળમાં આવેલા વિનાશક પૂર (Flash Flood) વચ્ચે ભારતીય નાગરિકોની સુરક્ષા અને રાહત બચાવ કામગીરીને લઈને ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તા રણધીર જાયસવાલે નવી દિલ્હીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ, ચીન સરહદ તરફ ફસાયેલા ભારતીયો અને ભારત દ્વારા મોકલવામાં આવી રહેલી રાહત સામગ્રી અંગે વિગતવાર માહિતી આપી છે.
ચીન સરહદે 400 ભારતીયો સુરક્ષિત, રેસ્ક્યૂ માટે કવાયત શરૂ
રણધીર જાયસવાલે જણાવ્યું કે, "ચીન તરફ સરહદી વિસ્તારમાં આશરે ૪૦૦ ભારતીય નાગરિકો છે. આ તમામ લોકો સુરક્ષિત છે અને પોતાના પરિવારો સાથે સતત સંપર્કમાં છે." બેઇજિંગ સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઇન દ્વારા પરિવારો સંપર્ક કરી રહ્યા છે. ભારતીય દૂતાવાસ ચીનના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંકલનમાં છે અને આ તમામ નાગરિકોને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર (Evacuate) કાઢવા માટેનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ભારત તરફથી રાહત સામગ્રીનો મોટો કાફલો રવાના
નેપાળમાં આપત્તિ સર્જાઈ તે જ દિવસે સાંજે 10 ટન સામગ્રી (કામચલાઉ શેલ્ટર, ધાબળા, હાઇજીન કિટ્સ, સોલર લેમ્પ અને દવાઓ) મોકલાઈ હતી. સવારે 10.30 વાગ્યે 37.5 ટન ભારે સામગ્રી મોકલવામાં આવી, જેમાં ટેન્ટ, ધાબળા, પાણી કાઢવાના ડીવોટરિંગ પંપ, જનરેટર સેટ, રસોડાનો સામાન, દવાઓ અને ખાદ્યસામગ્રી સામેલ હતી. નેપાળ સરકારની તાત્કાલિક માંગણી મુજબ આજે સાંજે આશરે 12થી 13 ટન સામગ્રી લઈને વધુ એક ફ્લાઇટ રવાના થવાની તૈયારીમાં છે, જેમાં પોર્ટેબલ જનરેટર, ડિગ્નિટી કિટ્સ, વોટર પ્યુરિફિકેશન ટેબ્લેટ્સ અને જીવનજરૂરી દવાઓ પહોંચાડવામાં આવશે. ભારત સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને સરહદ પાર ફસાયેલા તમામ ભારતીયોની વતન વાપસી માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે.

