બિહારમાં રાજ્યસભાની ચૂંટણીમાં 4 ધારાસભ્યો ગેરહાજર, પાંચેય બેઠકો પર NDAનો વિજય

રાજ્યસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે, અને બિહારના પાંચેય NDA ઉમેદવારો વિજયી બન્યા છે. NDAના પાંચમા ઉમેદવાર શિવેશ કુમારે બીજા-પ્રિફરન્સ મતોના આધારે જીત મેળવી હતી. આ ચૂંટણીમાં RJDએ ફક્ત એક ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહને મેદાનમાં ઉતાર્યા હતા. જેમને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. NDAએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ પોતાના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા હતા, તેઓ જીતી ગયા બાદ હવે રાજ્યસભામાં સંસદસભ્ય બન્યા છે. હવે તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડશે..
નીતિશ કુમાર - 44
નિતિન નબિન- 44
રામનાથ ઠાકુર - 42
ઉપેન્દ્ર કુશવાહા - 42
શિવેશ કુમાર - 30
બિહારમાં રાજ્યસભાની પાંચ બેઠકો માટે યોજાયેલ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં વિપક્ષી મહાગઠબંધનને મોટો આંચકો લાગ્યો છે, છેલ્લી ક્ષણ સુધી ગઠબંધનના ચાર ધારાસભ્યો મતદાન કરવા પહોંચ્યા નહોતા. બીજી તરફ, સત્તાધારી NDAના તમામ 202 ધારાસભ્યોએ એકજૂથ થઈને મતદાન કર્યું છે, જેના કારણે NDAના પાંચમા ઉમેદવાર શિવેશ કુમારની જીત થઈ છે.
કોંગ્રેસ અને RJDના 4 ધારાસભ્યોએ કરી રાજરમત
ચૂંટણીના પરિણામો પહેલા જ મહાગઠબંધન માટે આંકડાકીય રમત બગડી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, RJDના ધારાસભ્ય ફૈસલ રહેમાન (ઢાકા બેઠક) એ મતદાન કર્યું નથી. આ ઉપરાંત, કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો પણ મતદાનથી દૂર રહ્યા છે
મનોહર પ્રસાદ: મનિહારી (કટિહાર) થી કોંગ્રેસ ધારાસભ્ય
સુરેન્દ્ર કુશવાહા: વાલ્મીકિનગર (બઘા) થી કોંગ્રેસ ધારાસભ્ય
મનોજ વિશ્વાસ: ફારબિસગંજ (અરરિયા) થી કોંગ્રેસ ધારાસભ્ય
ફૈસલ રહેમાન: ઢાકા (પૂર્વ ચંપારણ)થી RJDના ધારાસભ્ય
NDAની પાંચેય બેઠકો પર પકડ મજબૂત
આ ચાર ધારાસભ્યોની ગેરહાજરીને કારણે મહાગઠબંધનનો આંકડો માત્ર 37 પર અટકી ગયો છે. ગણતરી મુજબ, NDAના ઉમેદવાર શિવેશ કુમારને 38 મતો મળવાની સંભાવના છે, જ્યારે RJDના ઉમેદવાર અમરેન્દ્ર ધારી સિંહ (એડી સિંહ) 37 મતો સુધી સીમિત રહી શકે છે. જો આ સમીકરણ સાચું ઠરશે, તો રાજ્યસભાની પાંચેય બેઠકો પર NDAનો કબજો થઈ જશે અને RJDના હાથમાંથી એક મહત્વની બેઠક સરકી જશે.
ક્રોસ વોટિંગની આશંકા, હવે મતગણતરી
મતદાન દરમિયાન NDA નેતાઓએ અગાઉથી જ દાવો કર્યો હતો કે વિપક્ષી છાવણીમાં મોટું ક્રોસ વોટિંગ થઈ શકે છે. કોંગ્રેસના ધારાસભ્યો વિધાનસભા ન પહોંચતા આ દાવો સાચો સાબિત થતો જણાય છે. આજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં સત્તાવાર પરિણામો જાહેર કરવામાં આવશે. આ ઘટનાક્રમે બિહારના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે અને મહાગઠબંધનની આંતરિક એકતા પર સવાલો ઊભા કર્યા છે.

