VIDEO: 'મંત્રીપદ ન મળતાં 2 ધારાસભ્યોએ ધરી દીધું રાજીનામું', કર્ણાટકના સીએમ D.K. શિવકુમારે આપી સલાહ
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના મંત્રીમંડળ વિસ્તરણ થતાંની સાથે જ પક્ષની અંદરનો આંતરિક વિખવાદ ખુલ્લીને સામે આવી ગયો છે. મંત્રીપદની આશા રાખીને બેઠેલા ધારાસભ્યોની અવગણનાથી નારાજ થયેલા બે ધારાસભ્યોએ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ અનેક વરિષ્ઠ નેતાઓએ હાઈકમાન્ડ સામે મોરચો માંડી દીધો છે.
મંત્રીમંડળ વિસ્તરણ દરમિયાન મંત્રીઓની યાદી બે વાર જાહેર કરવામાં આવી હતી. પ્રથમ યાદીમાં ભટકલના ધારાસભ્ય મનકલ વૈદ્યને સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તેમનું નામ બદલીને તેમના સ્થાને દાવણગેરેના ધારાસભ્ય એસ.એસ. મલ્લિકાર્જુનનું નામ ઉમેરાયું હતું. જ્યારે એસ.એલ.સી. ગાયત્રી શાંતેગૌડાનું નામ કાપીને એક પદ ખાલી છોડી દેવામાં આવ્યું છે. જોકે, ગાયત્રીની અવગણના અંગે પક્ષ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વરિષ્ઠ નેતાઓના દબાણને કારણે આ નિર્ણય લેવાયો છે.
ધારાસભ્યોના રાજીનામાં
સૌથી મોટો ઝટકો ત્રણ વખતથી ઈંડીના ધારાસભ્ય રહેલા યશવંતરાયગૌડા પાટીલે આપ્યો છે, જેમણે ડેપ્યુટી સ્પીકરને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. તેમણે કહ્યું કે, હું કોંગ્રેસ પરિવાર સાથેના તમામ સંબંધો પૂરા કરી રહ્યો છું. ઉલ્લેખનીય છે કે, ઈંડી રાજ્યની એકમાત્ર એવી બેઠક છે જ્યાંથી આજ સુધી કોઈ મંત્રી બની શક્યું નથી.
વંશવાદ પર બેલૂર ગોપાલકૃષ્ણના આકરા પ્રહાર
સાગરના ધારાસભ્ય બેલૂર ગોપાલકૃષ્ણએ પણ રાજીનામાની જાહેરાત કરતા તીખો સવાલ કર્યો હતો. તેમણે પૂછ્યું કે, 'શું મંત્રીપદ માત્ર પૂર્વ મુખ્યમંત્રીઓ અને મંત્રીઓના સંતાનો માટે જ અનામત છે? જો સત્તા ભોગવી ચૂકેલા લોકોને જ વારંવાર તક મળશે, તો મારા જેવા ધારાસભ્યોનું ભવિષ્ય શું?' તેમણે આરોપ લગાવ્યો કે, 'મને મંત્રી બનાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ રાતોરાત યાદી બદલી દેવામાં આવી.' ભદ્રાવતીના ધારાસભ્ય સંગમેશે પણ પોતાની ઉપેક્ષા સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામાની ધમકી આપી છે. પૂર્વ મંત્રી અને પ્રદેશ પ્રમુખ દિનેશ ગુંડુરાવે પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં ખૂબ જ તીખી પ્રતિક્રિયા આપી. બીજી તરફ, વિજયનગર અને ગોવિંદરાજનગરના ધારાસભ્યો એમ. કૃષ્ણાપ્પા અને પ્રિયાક્રિષ્ણાના સમર્થકોએ બસ વ્યવહાર રોકીને સૂત્રોચ્ચાર કર્યા હતા.
મુખ્યમંત્રીએ નારાજ ધારાસભ્યોને ધીરજ રાખવા અપીલ કરી
મુખ્યમંત્રી ડી.કે શિવકુમારે નારાજ નેતાઓ અને કાર્યકરોને ધીરજ રાખવાની અપીલ કરતા કહ્યું કે, 'પાર્ટીમાં અનેક યોગ્ય ધારાસભ્યો છે, પરંતુ દરેકને એકસાથે મંત્રી બનાવવું શક્ય નથી. ઘણા ધારાસભ્યો મંત્રી બનવાની લાયકાત ધરાવે છે. હું આ વાતનો અસ્વીકાર નથી કરતો પરંતુ કેટલીક પરિસ્થિતિઓમાં પાર્ટીએ નિર્ણયો લેવા પડે છે. મને પણ 2004માં મંત્રી બનાવવામાં નહોતો આવ્યો. સિદ્ધારમૈયા સરકાર (2013-18)માં પણ શરૂઆતમાં મને કેબિનેટમાં સ્થાન નહોતું મળ્યું. મેં ધીરજ રાખી હતી અને આજે એ જ ધીરજનું પરિણામ છે કે હું મુખ્યમંત્રી પદ પર છું.'

