VIDEO: ગીરના સિંહોના વસવાટ પર માઇનિંગનું જોખમ; અલ્ટ્રાટેક કંપનીને મંજૂરી મળતાં મોટો વિવાદ
રાજ્યમાં ઉદ્યોગોને ખુશ કરવાની ભાજપ સરકારની નીતિને કારણે ગીરના જંગલ વિસ્તારમાં સિંહોને જંગલ છોડીને અવાર-નવાર શહેરી વિસ્તારોમાં ભટકવું પડે છે. આ સંજોગોમાં તાજેતરમાં અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે મંજૂરી આપવાનો વનવિભાગનો અભિપ્રાય ચર્ચાસ્પદ બન્યો છે.
ગીરના જંગલોમાં સિંહને રહેવાની જગ્યાઓ પર અલ્ટ્રાટેક કંપનીને માઇનિંગ માટે મંજૂરી
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં આવેલા બાબરકોટ ગામની સર્વે નંબર 69/પૈકી અને 366/પૈકીની 75.94 હેક્ટર અનામત જંગલ જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડને માઇનિંગ માટે સોંપવાના મુદ્દે સપ્ટેમ્બર 2016માં તત્કાલીન ડીસીએફ (ગીર પૂર્વ ડિવિઝન ધારી) દ્વારા આ જમીન કંપનીને આપવાનો લેખિતમાં કડક ઈનકાર કરવામાં આવ્યો હતો, જેમાં સિંહોના કાયમી વસવાટ, પ્રજનન ક્ષેત્ર, કોરિડોર અને હાઈકોર્ટની પીઆઈએલનો સ્પષ્ટ ઉલ્લેખ કરીને પર્યાવરણને અકાલ્પનિક નુકસાન થવાની ભીતિ દર્શાવાઈ હતી. જ્યારે વર્તમાન અધિકારી દ્વારા આ જ જગ્યા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીને માઇનિંગ માટે આપવા પોઝિટિવ અભિપ્રાય આપી દેવામાં આવતાં આશ્ચર્ય ફેલાયું છે.
અધિકારીના અહેવાલ મુજબ આ વિસ્તારમાં ૬ સિંહોનો કાયમી વસવાટ અને 15થી 20 સિંહોની અવરજવર નોંધાઈ હતી. આ ઉપરાંત દીપડા, ઝરખ, અજગર જેવા વન્યજીવોનું પણ આ ઘર છે, તેવું દર્શાવ્યું હતું. આ રિપોર્ટ 10 વર્ષ બાદ ત્યાર સિંહની સંખ્યા 15-20માંથી ખાસ્સી વધી જતાં અવર-જવરવાળા અને કોરિડોરનો ઉપયોગ કરતા કુલ 55થી 75 જેટલા સિંહોનો વિસ્તાર થઈ ગયો છે. 10 વર્ષ પહેલાં વન્યપ્રાણીનાં હિત ખાતર અને કોર્ટના આદેશનો અનાદર ન ગણાય તે માટેના કારણો ધરી ના પાડીદેવાઈ હતી. હવેની સ્થિતિએ સિંહો સહિતના વન્યજીવોની સંખ્યામાં તે જ વિસ્તારમાં વધારો વનતંત્રના રેકોર્ડ પર નોંધાયો છે અને કોર્ટની પીઆઈએલ પણ ચાલું છે, છતા કંપની માટે જાણે સિંહ સહિતનાં વન્યપ્રાણીઓનું હિત બાજુ પર મુકી દેવાયું હોય અને કોર્ટના આદેશના અનાદરનો ડર ન હોય તેમ પોઝિટિવ અભિપ્રાય આપી દેવાતાં આ મુદ્દો રાષ્ટ્રીય ફલક પર ચર્ચાસ્પદ બની ગયો છે. સવાલ એ ઉઠી રહ્યો છે કે શું નવી ભલામણ કરતી વખતે આ વન્યજીવો રાતોરાત ગાયબ થઈ ગયા?
ગૌરવવંતા ગીરના સિંહના કુદરતી નિવાસસ્થાન અને કોરિડોરને એક ખાનગી કંપનીના માઈનિંગ માટે હોમી દેવાના આ ષંડયંત્ર સામે સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
જો અધિકારીની દાનત સારી હોય તો જ જંગલ અને સિંહોનું હિત જળવાઈ શકે
વર્ષ 2016 અને વર્ષ 2026ના બંને અભિપ્રાયોમાં જે મોટો વિરોધાભાસ છે તે સ્પષ્ટ કરે છે કે જો અધિકારીની દાનત સારી હોય તો જ જંગલ અને સિંહનું હિત શક્ય છે. અગાઉના રિપોર્ટમાં સ્પષ્ટ લખાયું હતું કે, ગુજરાત હાઇકોર્ટમાં પીઆઈએલ પેન્ડિંગ છે જેમાં રાજુલા-જાફરાબાદ-નાગેશ્રી લાયન કોરિડોરની તપાસ ચાલી રહી છે. અદાલતનો ચુકાદો આવ્યા વિના જમીન આપવી એ કોર્ટનો અનાદર ગણાય. વર્તમાન અધિકારીએ કોર્ટના આ ગંભીર મુદ્દાને કોરાણે મૂકીને કંપની તરફે અભિપ્રાય આપ્યો છે.

