વલસાડમાંથી ત્રણ લેન્ડ માફિયાની ધરપકડ, મૃતક વ્યક્તિની ખોટી ઓળખ ઉભી કરી આચરતા કૌભાંડ

શોર્ટકટમાં પૈસા કમાવવા બોગસ આધાર પુરાવા રજુ કરી બનાવટી દસ્તાવેજનો મામલો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ જમીન લે વેચ માટે ભૂમાફિયાઓ સક્રિય બન્યા છે. ઉમરગામ મામલતદાર કચેરીના સબ રજીસ્ટરે બોગસ દસ્તાવેજ મામલે ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસમાં ઉમરગામ પોલીસે હાલ ત્રણ લોકોની અટક કરી છે.
મૃતક વ્યક્તિની ખોટી ઓળખ ઊભી કરી સમગ્ર પ્રકરણને અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક પારસીની જગ્યામાં ખોટા આધાર પુરાવા રજુ કરી દસ્તાવેજનો કિસ્સો સામે આવ્યો છે. ઉમરગામ પોલીસે હાલ આ કામમાં શામેલ આરોપીઓની પૂછપરછ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે. નોંધનીય છે કે ઉમરગામ તાલુકામાં હાલ જમીન લે વેચની કામગીરીમાં મોટો ઉછાળો આવ્યો હોય હવે એક પછી એક ભૂમાફિયાઓની કરતૂત બહાર આવી શકે તેમ છે. હાલ તો બોગસ દસ્તાવેજ પ્રકરણમાં નાના માછલાં હાથ લાગ્યા છે પરંતુ મોટા માથાઓના ખેલ ધીમે ધીમે બહાર આવે તેવી શક્યતાઓ લાગી રહી છે.

