Vadodara: આપઘાતનો પ્રયાસ કરનાર દર્દીનું સારવાર દરમિયાન મોત

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ગત સપ્તાહે આપઘાતનો પ્રયાસ કરનાર એક વૃદ્ધ દર્દીનું આજે બુધવારે SICU (સર્જિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ)માં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલ તંત્રની સુરક્ષા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અકસ્માતમાં ઘાયલ દર્દીએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
મળતી માહિતી મુજબ, 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવારને 5 નવેમ્બરના રોજ રોડ અકસ્માતમાં ઇજા થતા ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના ડી-વન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 8 નવેમ્બરના રોજ, સારવાર હેઠળ રહેલા દયાનંદ પવારે વોર્ડમાં AC યુનિટ માટે કાપેલા સળિયાવાળી બારીમાંથી કુદકો મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસ બાદ તેમની હાલત અત્યંત ગંભીર બની ગઈ હતી અને તેઓ SICUમાં સારવાર લઈ રહ્યા હતા.
સારવાર દરમિયાન મોત, હોસ્પિટલ તંત્ર સામે સવાલો
આજે SICUમાં સારવાર દરમિયાન દયાનંદ બાબુરાવ પવારનું મોત નિપજ્યું છે. હોસ્પિટલના અતિ સંવેદનશીલ વિસ્તારમાં, જ્યાં દર્દીઓની સુરક્ષા સર્વોપરી હોવી જોઈએ, ત્યાં AC યુનિટ માટે બારીના સળિયા કાપેલા હોવા અને દર્દીએ તેમાંથી કુદકો મારવો—આ ઘટનાઓ હોસ્પિટલના સુરક્ષા વ્યવસ્થાપન અને તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.
હાલમાં આપઘાતનું ચોક્કસ કારણ અકબંધ છે અને હોસ્પિટલ પ્રશાસન દ્વારા આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

