VIDEO: રાજ્ય સરકારના પ્રતિબંધ બાદ વડોદરામાં ફૂડ શાખાની સઘન તપાસ, ગાયત્રી ફૂડ્સમાં તોફુ પનીર મળી આવ્યું
રાજ્ય સરકાર દ્વારા એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યા બાદ વડોદરા મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સક્રિય બન્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં અટકાવવા માટે પાલિકાની ફૂડ શાખાની ટીમે આજવા રોડ સ્થિત સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી 'ગાયત્રી ફૂડ્સ'માં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ત્યાં દૂધ કે પ્રતિબંધિત એનાલોગ પનીરને બદલે સોયાબીનના દૂધમાંથી બનતું તોફુ પનીર અને તોફુ દહીંનું ઉત્પાદન થતું હોવાનું માલૂમ પડ્યું હતું. આરોગ્ય વિભાગે લાયસન્સ, કાચો માલ અને ગુણવત્તાના ધોરણોની ચકાસણી કરી હતી. તોફુ એ પ્લાન્ટ-આધારિત ખાદ્ય ઉત્પાદન છે જે વેગન અને લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. વહીવટી તંત્ર દ્વારા શહેરના ચારેય ઝોનમાં ચાર અલગ-અલગ ટીમો બનાવી મેન્યુફેક્ચરર્સ અને વેપારીઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે. નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે અસલી પનીરના ઉત્પાદકોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.

