VIDEO : વડોદરાના ખાસવાડી સ્મશાનગૃહમાં પાલિકાની ઘોર બેદરકારી
વડોદરાના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાનગૃહમાં માનવતાને શર્મસાર કરતી અને મૃત્યુના મલાજાનો છેદ ઉડાવતી કમનસીબ ઘટના સામે આવી છે. જ્યાં એક તરફ ખાનગી સંસ્થાને અંતિમ વિધિ માટે સાત હજાર રૂપિયાથી વધુની તોતિંગ રકમ ચૂકવવામાં આવે છે, તો બીજી તરફ આધુનિકીકરણના નામે ચાલી રહેલા રીનોવેશનમાં પાલિકાના કથળેલા વહીવટની પોલ ખુલી ગઈ છે. એકમાત્ર વરસાદમાં સ્મશાનની સ્થિતિ એટલી હદે કફોડી બની છે કે, ચિતા પર વરસાદી પાણી ન પડે તે માટે પતરાં મૂકીને અંતિમ વિધિ કરવી પડી રહી છે, જે ધાર્મિક લાગણી દુભાવવા સમાન છે. પલળેલા લાકડાં અને અવ્યવસ્થા વચ્ચે પરિવારોની વેદના જોઈને સવાલ થાય કે શું આ સરકાર સંવેદનશીલ છે કે સંવેદનહીન? સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષા વર્ષાબેન વ્યાસે ભલે દુઃખ વ્યક્ત કરીને તપાસના આદેશ આપ્યા હોય અને વિરોધ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે આ કામગીરીને 'સોમી અજાયબી' ગણાવી તંત્રને આડે હાથ લીધું હોય, પરંતુ મંથરગતિએ ચાલતું આ રીનોવેશન તંત્રની ઘોર બેદરકારી અને મૃતકોના અપમાનનો જીવતો જાગતો પુરાવો છે.

