Vadodara: પલાસવાડા ફાટક વાહનચાલકો માટે ફરી બન્યું માથાનો દુખાવો; ટ્રેન વગર ફાટક બંધ રહેતા 3 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાયો
સોર્સ : GSTV
ડભોઇ-વડોદરા માર્ગ પર આવેલી પલાસવાડા ફાટક ફરી એકવાર વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યુ છે. ટ્રેનનો સમય ન હોવા છતાં કલાકો સુધી ફાટક બંધ રહેતા માર્ગ પર 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ચાંદોદ-પોઈચા જતો આ મુખ્ય માર્ગ હોવાથી હજારો પ્રવાસીઓ અને ઈમરજન્સી સેવાઓ અટવાઈ પડી હતી. રેલવે તંત્રના કથિત અનગઢ વહીવટથી કંટાળેલા વાહન ચાલકો પરેશાન થાય છે. ત્યારે માર્ગ પહોળો કર્યો હોવા છતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે.
ઓવરબ્રિજ બનાવવાની ઉગ્ર માંગ
પલાસવાડા ફાટક ખાતેની આ કાયમી સમસ્યાનો એકમાત્ર ઉકેલ ઓવરબ્રિજ છે. વાહનચાલકો અને પ્રવાસીઓ સુરક્ષા અને સુવિધા માટે માંગ કરી રહ્યા છે કે સરકાર વહેલી તકે અહીં ઓવરબ્રિજની કામગીરી શરૂ કરે, જેથી ટ્રાફિકના કાયમી ત્રાસમાંથી મુક્તિ મળી શકે.

