Tapi/ સોનગઢમાં ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે હિન્દુ-ખ્રિસ્તી આદિવાસી સમાજ વચ્ચે તણાવ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ધાર્મિક સ્થળ પર પૂજા કરવાના મામલે હિન્દુ આદિવાસી અને ખ્રિસ્તી આદિવાસી સમાજ વચ્ચે ફરી એકવાર વિવાદ વકર્યો છે. નાના બંધારપાડા ગામ પાસે આવેલા ગીધમાળી ડુંગર પર ધાર્મિક વિધિ કરવા મુદ્દે સર્જાયેલી ખેંચતાણને પગલે સમગ્ર પંથકમાં તણાવપૂર્ણ વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વિવાદનું મુખ્ય કારણ
ગીધમાળી ડુંગર પર લાંબા સમયથી ધાર્મિક સ્થળના હક અને પૂજાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થળ પર ખ્રિસ્તી સમાજ દ્વારા 'મરિયમ માતા'નું મંદિર બનાવી પ્રાર્થના કરવામાં આવે છે. બીજી તરફ, દેવ બિરસા સેના દ્વારા આ સ્થળે ખ્રિસ્તી સમાજ દ્વારા યોજાતા મેળાનો વિરોધ કરવામાં આવ્યો છે. સંગઠને માંગ કરી હતી કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે તેઓને માતા 'કણી કંસારી'ની હિજરી સાથે ડુંગર પર પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે. આ અંગે ગત દિવસોમાં તંત્રને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
પોલીસ છાવણીમાં ફેરવાયો પંથક
આવેદન બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધતા તાપી પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે: ગીધમાળી ડુંગર તરફ જતાં તમામ રસ્તાઓ પર પોલીસની કડક નાકાબંધી કરવામાં આવી છે. માર્ગ પરથી પસાર થતા તમામ વાહનો અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કાર્યકરોની અટકાયત: કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના ભાગરૂપે દેવ બિરસા સેનાના આગેવાન અરવિંદ વસાવા સહિત કેટલાક કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત (ડીટેઈન) કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા હાલ શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે અને ડુંગર વિસ્તારમાં સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

