Surendranagar: જુવાન દીકરા કડદાકાંડમાં જેલમાં છે, નવું વર્ષ કેમ ઉજવું.., નેતાઓના 'સ્નેહમિલન' સામે ખેડૂતોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂત પરિવારો માટે આ વર્ષનું બેસતું વર્ષ શોક અને આક્રોશ લઈને આવ્યું છે. કથિત કડદાકાંડ કેસને પગલે ખેડૂતોના જુવાન દીકરાઓ હાલ જેલવાસ ભોગવી રહ્યા હોવાથી, ખેડૂત પરિવારોએ નવા વર્ષની કોઈ પણ ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે. પરિણામે, જ્યાં રાજ્યભરમાં લોકો નવા વર્ષના ઉમંગમાં છે, ત્યાં સુરેન્દ્રનગરમાં ખેડૂત પરિવારોની આંખમાં આંસુ છે અને તેમના ઘરમાં માતમ જેવું વાતાવરણ છે.
નવા વર્ષનો ઉમંગ ખેડૂત પરિવારો પરથી સંપૂર્ણપણે ઉડી ગયો છે. અનેક ખેડૂત પરિવારોએ નવા વર્ષના દીને ન તો નવા કપડાં પહેર્યા, ન તો મીઠાઈ વહેંચી કે ન તો ફટાકડા ફોડ્યા. ભોગ બનેલા એક ખેડૂતના સગાઓએ ગંભીર આક્ષેપો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
જુવાન દીકરા જેલમાં, નેતાઓ ગેલમાં: ખેડૂતોમાં રોષ
ખેડૂત પરિવારોનો સૌથી મોટો સવાલ એ છે કે, "જુવાન દીકરા કડદાકાંડમાં જેલમાં હોય, તો અમે કેમ નવું વર્ષ ઉજવીએ?" આ ગમગીની વચ્ચે, સ્થાનિક રાજકીય નેતાઓ દ્વારા નવા વર્ષ નિમિત્તે યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમોએ ખેડૂતોના રોષમાં વધારો કર્યો છે.
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે એક બાજુ ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા છે અને પરિવારો શોકમાં ડૂબેલા છે, ત્યારે બીજી બાજુ વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણાએ સ્નેહમિલનના નામે 'તાયફાઓ' કર્યા છે. ખેડૂતોના મતે, આ નેતાઓના 'સ્નેહમિલન'ના નામે થતા તાયફાઓ સંવેદનહીનતા દર્શાવે છે.
ખેડૂત પરિવારોની આંખોમાં આંસુ અને નેતાઓના સ્નેહમિલનથી સર્જાયેલા વિરોધાભાસને કારણે, સુરેન્દ્રનગરમાં આ બેસતું વર્ષ યાદગાર નહીં, પણ આક્રોશભર્યું બની રહ્યું છે.

