Video: Surendranagar માં હજારો રેશનકાર્ડ બંધ હાલતમાં, 16 મહિનાથી ધક્કા ખાતા અરજદારોમાં તંત્ર સામે રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ હજારો ગરીબ પરિવારોના રેશનકાર્ડ બંધ હાલતમાં હોવાથી સસ્તા અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. એક તરફ મોંઘવારી વધી રહી છે, ત્યારે છેલ્લા 16 મહિનાથી અરજદારો તેમના બંધ પડેલા રેશનકાર્ડ ફરીથી શરૂ કરાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.
અરજદારોની કનડગત અને રોષ
અરજદારો સતત અરજીઓ કરી રહ્યા હોવા છતાં, તંત્ર દ્વારા બંધ પડેલા રેશનકાર્ડ શરૂ કરવાની કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રેશનકાર્ડ શરૂ ન થવાથી આ પરિવારોને સસ્તા ભાવે મળતા અનાજ, દાળ અને અન્ય ખાદ્ય ચીજોનો લાભ મળતો નથી.
અરજદાર કે.એન.રાજદેવ અને ગુણવંતભાઈ જેવા અનેક નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે, તેમની વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
તંત્રની ધીમી કામગીરી સામે સવાલ
જિલ્લામાં હજારો રેશનકાર્ડ બંધ હાલતમાં હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોની માંગ છે કે માનવીય અભિગમ રાખીને તંત્ર તાત્કાલિક ધોરણે આ મામલે નિર્ણય લે અને બંધ પડેલા રેશનકાર્ડ શરૂ કરીને તેમને રાહત આપે.

