Video/ ધારાસભ્યના વિસ્તારમાં જ ઉભરાતી ગટરો, Surendranagarની સોસાયટીઓમાં ડ્રેનેજનું પાણી પીવાના પાણી સાથે ભળતા સ્થાનિકો પરેશાન
સુરેન્દ્રનગર શહેરના 80 ફૂટ રોડ પર આવેલી અનેક સોસાયટીઓ હાલમાં તંત્રની બેદરકારીના કારણે ગંભીર રોગચાળાનો ભોગ બની છે. હીરાબાગ અને ક્રિષ્ના પાર્ક જેવી સોસાયટીઓના મુખ્ય માર્ગો પર ગંદકી અને ડ્રેનેજના પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો પરેશાન બની ગયા છે.
ધારાસભ્ય રહે છે છતાં સમસ્યા યથાવત્
આ વિસ્તારમાં સમસ્યાની ગંભીરતા એ છે કે ડ્રેનેજનું ગંદુ પાણી લીકેજને કારણે પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી રહ્યું છે. જેના પરિણામે ઘેર ઘેર ડેન્ગ્યુ, મેલેરિયા અને કોલેરા જેવી ગંભીર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નવાઈની વાત તો એ છે કે, ગુજરાત સરકારના જ મંત્રી અને સુરેન્દ્રનગરના ધારાસભ્ય પી.કે. પરમાર પણ આ જ સોસાયટીઓમાં વસવાટ કરી રહ્યા છે. તેમ છતાં, તેમના જ વિસ્તારના સામાન્ય લોકોને આટલી ગંભીર પ્રાથમિક સુવિધાની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
તંત્ર માત્ર કાગળ પર
સ્થાનિક રહીશોએ આ ગંભીર સમસ્યાના નિરાકરણ માટે ઓનલાઈન પોર્ટલમાં વારંવાર અરજીઓ કરી છે, પરંતુ તંત્ર દ્વારા આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને સમસ્યાનો નિવેડો આવ્યો નથી. લોકોનો સીધો આક્ષેપ છે કે, જ્યારે ખુદ ધારાસભ્યના રહેઠાણ વિસ્તારની આવી દશા હોય તો અન્ય વિસ્તારોની પરિસ્થિતિ કેવી હશે? સ્થાનિક રહીશોએ તાત્કાલિક અસરથી ડ્રેનેજ અને પાણીની પાઇપલાઇનનું સમારકામ કરીને રોગચાળો અટકાવવાની માંગ કરી છે.

