VIDEO: સુરેન્દ્રનગરમાં પ્રેમસુખ ડેલુનો સપાટો! ધ્રાંગધ્રામાં 7 વ્યાજખોરોની ધરપકડ, લારીવાળા પાસે વસૂલતા હતા 30 ટકા વ્યાજ
VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું લોહી ચૂસતા વ્યાજખોરોને નાબૂદ કરવા માટે જિલ્લા પોલીસવડા (SP) પ્રેમસુખ ડેલુએ કમર કસી છે. એસ.પી.ના કડક એક્શન પ્લાન હેઠળ જિલ્લાભરમાં વિશેષ કવાયત હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત ધ્રાંગધ્રા પંથકમાં વ્યાજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.
જાણો આખો મામલો
આ કાર્યવાહી ધ્રાંગધ્રામાં લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા એક મજબૂર આધેડની ફરિયાદના આધારે કરવામાં આવી છે. આ આધેડે પોતાની જરૂરિયાત માટે નાણાં ઉછીના લીધા હતા, જેના બદલામાં વ્યાજખોરો તેમની પાસેથી 15 થી 30 ટકા જેટલું તોતિંગ વ્યાજ વસૂલતા હતા. આટલું ઊંચું વ્યાજ વસૂલવા છતાં તૃપ્ત ન થયેલા વ્યાજખોરો આધેડને અવારનવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપતા હતા.
7 વ્યાજખોરોની ધરપકડ
આ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ 7 જેટલા વ્યાજખોરોને પોલીસે દબોચી લીધા છે. ઝડપાયેલા શખ્સોમાં:
જેહલ મેવાડા
દશરથ મેવાડા
પરેશ પ્રજાપતિ
રામસિંગ રબારી
અંકિત મેવાડા
મેહુલ રાતળિયા
ગોપાલ ભરવાડ
ભુપેન કોટક
આ તમામ શખ્સોને સુરેન્દ્રનગર એસ.પી. કચેરી ખાતે લાવી પોલીસ દ્વારા કાયદાનું કડક ભાન કરાવવામાં આવ્યું હતું.
ગેરકાયદે નાણાં ધીરધારના વ્યવસાય પર તવાઈ
પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ શખ્સો કોઈપણ પ્રકારના કાયદેસરના લાયસન્સ વગર જ ગેરકાયદેસર રીતે વ્યાજ વટાવનો ધંધો કરી રહ્યા હતા. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ આ મામલે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે, "જિલ્લામાં ચાલી રહેલા તમામ નાણાં ધીરધારના વ્યવસાયો અને લાયસન્સની સઘન તપાસ કરવામાં આવશે. જે લોકો લાયસન્સ વિના ગેરકાયદે નાણાંની ધીરધાર કરશે તેમને કોઈપણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં અને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે."
આ કાર્યવાહીથી જિલ્લાના અન્ય વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પીડિત લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

