Video/ સુરેન્દ્રનગરમાં 'ખેડૂત બચાવો યાત્રા'માં હાઈવોલ્ટેજ ડ્રામા: AAP અને રાજુ કરપડા જૂથ આમને-સામને!
સુરેન્દ્રનગરમાં આપણી ‘ખેડૂત બચાવો યાત્રા’ના પ્રવેશ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. યાત્રા શહેરમાં પ્રવેશતા જ બે જૂથો આમને-સામને આવી ગયા હતા, જેના કારણે વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી.
રાજુ કરપડાના રાજીનામા બાદ પ્રથમ વખત પ્રવીણ રામ દ્વારા સુરેન્દ્રનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રવીણ રામ દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર મોટા ખુલાસા કરવામાં આવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.
આ દરમિયાન રાજુ કરપડાના મત વિસ્તારમાં યોજાયેલી 'આપ'ના નેતાઓની સભા બાદ કેટલાક તત્વો દ્વારા 'આપ'ના નેતાઓને નીચું દેખાડવાના પ્રયાસો થયા હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે. રાજુ કરપડાના જૂથ દ્વારા સોશિયલ મીડિયા પર ‘ખેડૂત બચાવો યાત્રા’ને લઈને સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.
ખાસ કરીને ચોટીલા થી સુરેન્દ્રનગર તરફ આવી રહેલી ‘ખેડૂત બચાવો યાત્રા’માં ખેડૂતોની પાંખી હાજરી હોવાનું જણાવતા મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા હતા, જેના કારણે વાતાવરણ વધુ ગરમાયું હતું. તે છતાં પ્રવીણ રામ, બ્રીજરાજ સોલંકી સહિતના આપના નેતાઓની ઉપસ્થિતિમાં ‘ખેડૂત બચાવો યાત્રા’ સુરેન્દ્રનગરમાં પ્રવેશી હતી.
હાલ રાજુ કરપડા અને આપના નેતાઓ વચ્ચે આરોપ-પ્રત્યારોપોની રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે. આ સમગ્ર મામલે સુરેન્દ્રનગર સહિત સમગ્ર જિલ્લામાં રાજકીય ગરમાવો યથાવત રહ્યો છે.

