Video: Surendranagarના ખેડૂતોનો નવો પ્રયોગ, કપાસ-મગફળી છોડી પથરાળ જમીનમાં કર્યું 'કળથી'નું વાવેતર
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ખેડૂતોએ હવે પરંપરાગત પાકોથી મોં ફેરવીને એક નવો રાહ અપનાવ્યો છે. જિલ્લામાં પહેલીવાર ખેડૂતોએ કપાસ, તલ અને મગફળીના સ્થાને કળથી (Horse Gram)નું વાવેતર કર્યું છે. આ બદલાવ પાછળનું મુખ્ય કારણ વિસ્તારની પથરાળ જમીન અને પશુઓનો સતત વધતો ત્રાસ છે.
પશુઓના ત્રાસ અને વગર પિયતની જરૂરિયાત
મુળી તાલુકાના ખેડૂતો માટે ઢોર, રોઝ અને ઘુડખર સહિતના પશુઓનો ત્રાસ એક મોટી સમસ્યા બની ગયો છે. પશુઓ ખેતરમાં ઘૂસીને ઊભા પાકને નુકસાન પહોંચાડતા હોવાથી, ખેડૂતો ન છૂટકે એવા પાક તરફ વળ્યા છે જેને પશુઓ ઓછું નુકસાન પહોંચાડે.
કળથી એક એવો પાક છે જે વગર પિયતનો પાક ગણાય છે. આ પાક ઓછા પાણી અને કઠોર જમીનમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે પથરાળ જમીન ધરાવતા ખેડૂતો માટે તે આશાનું કિરણ બન્યો છે.
વરસાદથી નુકસાન
જોકે, આ વર્ષે અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે કળથીના પાકને પણ નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની ચિંતા વધી છે.
ખેડૂતો દ્વારા પ્રથમ વખત કળથીનું વાવેતર તો કરવામાં આવ્યું, પરંતુ હવે તેના વેચાણ માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ખેડૂતોને હાલમાં ₹700 પ્રતિ મણે કળથી વેચવા માટે રાજકોટ યાર્ડ સુધી લાંબુ થવું પડે છે.
ખેડૂત જગતમાં એક કહેવત પ્રચલિત છે કે, "ક્યાં ય નો નહિ એ કળથીનો" – જેનો અર્થ છે કે જે જમીનમાં અન્ય કોઈ પાક ન થાય, ત્યાં પણ કળથી ઉગે છે. આ કહેવતને સાબિત કરવા માટે મુળીના ખેડૂતોએ મહેનત કરી છે, પરંતુ હવે કુદરત અને બજારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

