Video/ Surendranagar માં કેનાલ રિપેરિંગ પાછળ કરોડોનું આંધણ, પણ પરિણામ શૂન્ય; ખેડૂતોમાં રોષ
સુરેન્દ્રનગર જિલ્લામાં કેનાલોના સમારકામ (રિપેરિંગ) પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં તેનું પરિણામ શૂન્ય આવ્યું છે. કેનાલોની જર્જરિત હાલત યથાવત્ રહેતા ખેડૂતોને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે અને તેઓ તંત્રની કામગીરી સામે રોષે ભરાયા છે.
નવી કેનાલોના પણ પ્લાસ્ટર ઉખડવા લાગ્યા
જિલ્લામાં કેનાલોની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી રહી છે, બોટાદ બ્રાન્ચ અને મોરબી બ્રાન્ચની કેનાલો અત્યંત જર્જરિત હાલતમાં છે. નવાઈની વાત તો એ છે કે, નવી બનેલી માઈનોર કેનાલોના પ્લાસ્ટર પણ ઉખડવા લાગ્યા છે. ઢાંકીથી સુરેન્દ્રનગરની મુખ્ય કેનાલમાં પણ ઠેર ઠેર ગાબડાં પડી ગયા છે, જેના કારણે પાણીનો વ્યય થઈ રહ્યો છે.
ખેડૂતોની જમીનો બની રહી છે બંજર
કેનાલો તૂટેલી હોવાથી પાણીનો મોટા પાયે બગાડ થાય છે અને ખેડૂતોના ખેતરોમાં પાણીનો પ્રવાહ અનિયમિત રહે છે. આ ઉપરાંત, કેનાલમાંથી પાણી લીક થવાના કારણે ખેડૂતોની કિંમતી જમીનોમાં પણ ભેજ આવવા લાગ્યો છે, જેના પરિણામે ફળદ્રુપ જમીનો ધીમે ધીમે બંજર બની રહી છે.
કેનાલોની સફાઈ અને સમારકામની કામગીરીમાં થતી અનિયમિતતા સામે ખેડૂતોમાં ભારે આક્રોશ છે. ખેડૂત જગજીવન પરમાર જેવા અનેક ખેડૂતોએ તંત્રની બેદરકારી અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.
ખેડૂતોએ માગ કરી છે કે, કેનાલ રિપેરિંગના નામે કરાતા કરોડોના આંધણનું યોગ્ય ઓડિટ કરવામાં આવે અને યુદ્ધના ધોરણે ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવે, જેથી ખેડૂતોને થઈ રહેલું નુકસાન અટકાવી શકાય.

