Video/ વઢવાણમાં મતદાર યાદી મુદ્દે વિવાદ: 8239 મતદાતાઓના નામ કમી કરવાની અરજીથી રાજકીય ગરમાવો
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં મતદાર યાદીમાંથી હજારો મતદાતાઓના નામ કમી કરવાની અરજીઓને લઈને વિવાદ ઉભો થયો છે. મળતી માહિતી મુજબ, મતદાર યાદીમાંથી આશરે 8239 મતદાતાઓના નામ દૂર કરવા માટે ફોર્મ ભરવામાં આવ્યા હોવાનો મુદ્દો સામે આવતા રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચા તેજ બની છે.
આ મામલે ખાસ કરીને SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) કામગીરી ફરી વિવાદમાં આવી છે. નામ કમી કરવા માટે ભરાયેલા ફોર્મમાં અનેક ગડબડીઓ સામે આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. કેટલાક ફોર્મમાં ખોટા ચૂંટણી કાર્ડ નંબર, એપિક નંબર તેમજ મોબાઈલ નંબર દર્શાવવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
માહિતી અનુસાર, મોટા પ્રમાણમાં મુસ્લિમ મતદાતાઓના નામ કમી કરવા માટે અરજીઓ ભરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, જેને કારણે મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. આ મુદ્દે વઢવાણના પ્રાંત અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે BLA દ્વારા ફોર્મ આપવામાં આવ્યા હતા અને તે કચેરી સુધી પહોંચાડવામાં આવ્યા હતા, પરંતુ ફોર્મ કોણે ભર્યા તેની માહિતી નથી.
વિચારણીય બાબત એ પણ છે કે તંત્ર દ્વારા મળેલી નામ કમી કરવાની અરજીઓની ઓનલાઈન પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને રાજકીય પક્ષોએ પણ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે.
આ મામલે કૉંગ્રેસ શહેર પ્રમુખ મહેન્દ્ર પરમાર અને આપ શહેર પ્રમુખ કમલેશ કોટેચાના નિવેદનો બાદ મુદ્દો વધુ ગરમાયો છે. હાલ સમગ્ર મામલે તપાસ અને સ્પષ્ટતા અંગે માંગ ઉઠી રહી છે.

