Surendranagar news: સામાજિક મર્યાદાઓ અને કૌટુંબિક બંધનોના કારણે એક પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું

રાજ્યના સુરેન્દ્રનગરના બામણવા ગામેથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં સુરેન્દ્રનગરના બામણવા ગામે સામાજિક મર્યાદાઓ અને કૌટુંબિક બંધનોના કારણે એક પ્રેમી યુગલે જીવન ટૂંકાવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બંનેએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી
૧૯ વર્ષીય જાનકી ઠાકોર અને ૨૧ વર્ષીય કુણાલ ઠાકોર છેલ્લા ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ કૌટુંબિક સગા હોવાને કારણે લગ્ન ગ્રંથિથી જોડાવું અશક્ય જણાતા બંનેએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. સમાજના નીતિ-નિયમો સામે લાચાર બનેલા આ નવયુગલે એક ન થઈ શકવાના દુઃખમાં આ અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાને પગલે નાના એવા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા બામણવા ગામમાં આજે માતમનો માહોલ છવાઈ ગયો છે. ગામની સીમમાં એક યુવક અને યુવતીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, બામણવા ગામમાં જ રહેતા 21 વર્ષીય કૃણાલ રમેશભાઈ ઠાકોર અને 19 વર્ષીય જાનકી સતીષભાઈ ઠાકોર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. બંને એક જ જ્ઞાતિના હોવા છતાં તેમના પ્રેમમાં એક એવી દીવાલ હતી જે ઓળંગવી તેમના માટે અશક્ય બની હતી.
કેમ ભર્યું આ અંતિમ પગલું?
સ્થાનિક સ્તરે થતી ચર્ચાઓ અને પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, કૃણાલ અને જાનકી બંને કૌટુંબિક સગા થતા હતા. સમાજ અને ખાસ કરીને ગ્રામીણ સંસ્કૃતિમાં કૌટુંબિક ભાઈ-બહેન વચ્ચેના લગ્ન સંબંધોને માન્યતા મળતી નથી. આ સામાજિક પરંપરાને કારણે બંને પ્રેમી પંખીડાઓ ક્યારેય એક થઈ શકશે નહીં તેવી ભીતિ તેમને સતાવી રહી હતી. સમાજ સામે લડવાને બદલે અથવા અલગ થવાને બદલે, બંનેએ સાથે જીવી તો નહી જ શકે પરંતુ સાથે મરી જવું તેવો આકરો નિર્ણય લીધો હતો. બંન્નેએ પોતાના જીવનનો અંત આણીદીધો હતો.
પોલીસ કાર્યવાહી અને ગામમાં શોક
પરિવારજનોને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. દસાડા પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહને કબજે કર્યા હતા અને પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, અકસ્માતે મોતના ગુના હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

