VIDEO: સુરેન્દ્રનગર સબજેલમાં 'સફાઈ અભિયાન': 6 મોબાઈલ મળતા જેલર ગોપાલ વણઝારા સહિત સ્ટાફની બદલી
VIDEO: સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર ગંભીર વિવાદોના વમળમાં સપડાઈ છે. જેલની સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવ્યા બાદ તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદની વિજિલન્સ ઝડતી સ્કવોડ દ્વારા કરવામાં આવેલા ઓચિંતા ચેકિંગ બાદ જેલર સહિતના સ્ટાફ સામે દંડાત્મક પગલાં લેવાતા જેલ વર્તુળમાં સોપો પડી ગયો છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યની જેલોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે અમદાવાદની સ્પેશિયલ ઝડતી ટીમ દ્વારા સુરેન્દ્રનગર સબજેલમાં ઓચિંતી રેડ કરવામાં આવી હતી. આ સઘન તપાસ દરમિયાન જેલના બેરેકમાંથી પ્રતિબંધિત એવા 6 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેલ જેવી સુરક્ષિત જગ્યાએથી મોબાઈલ મળી આવવાની ઘટનાએ જેલ પ્રશાસનની પોલ ખોલી નાખી હતી.
જેલર ગોપાલ વણઝારા અને 3 કર્મચારીઓની બદલી મોબાઈલ કાંડ સામે આવતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. જેલની સુરક્ષામાં બેદરકારી અને શંકાસ્પદ ભૂમિકા બદલ સુરેન્દ્રનગર સબજેલના જેલર ગોપાલ વણઝારાની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. જેલરની સાથે સાથે શંકાના દાયરામાં આવેલા અન્ય 3 જેલ કર્મચારીઓની પણ બદલી કરવામાં આવતા સમગ્ર સ્ટાફમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રોવિઝન સ્ટોર અને 'સપ્લાય ચેઈન' પર શંકા આ સમગ્ર પ્રકરણમાં સૌથી ચોંકાવનારી વિગત જેલની બહાર ચાલી રહેલા નેટવર્કની છે. પ્રાથમિક તપાસમાં એવી શંકા સેવાઈ રહી છે કે, જેલની બરાબર સામે આવેલા એક પ્રોવિઝન સ્ટોર મારફતે જેલની અંદર ગેરકાયદેસર સામાન ઘૂસાડવામાં આવતો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રોવિઝન સ્ટોર પરથી કેદીઓ સુધી બિનઅધિકૃત વસ્તુઓ (જેમ કે મોબાઈલ, પાન-મસાલા વગેરે) પહોંચાડવાનું નેટવર્ક ચાલી રહ્યું હતું. આ ઘટસ્ફોટ બાદ હવે પ્રોવિઝન સ્ટોરના સંચાલક સામે પણ પોલીસ તપાસનો ગાળિયો કસાઈ શકે છે.
વારંવાર વિવાદમાં સુરેન્દ્રનગર સબજેલ ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર સબજેલ ભૂતકાળમાં પણ અનેકવાર વિવાદોમાં રહી છે. અગાઉ પણ અહીંથી કેદીઓ પાસે સુવિધાઓ પહોંચતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જોકે, આ વખતે 6-6 મોબાઈલ પકડાતા અને જેલરની સીધી બદલી થતા, તંત્ર હવે જેલ પ્રશાસનને સુધારવા માટે કટિબદ્ધ હોવાનું દેખાઈ રહ્યું છે.

