VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સફાઈ કામદાર ગીધ પક્ષીઓની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય બનતા વન વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો
કુદરતી સફાઈ કામદાર તરીકે ઓળખાતા ગીધ પક્ષીઓની સંખ્યામાં રાજ્યભરમાં ચિંતાજનક ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ગંભીર મુદ્દાને ધ્યાને રાખીને આજે ગીધ જાગૃતિ દિવસ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાના મેથાણ, ભારદ, અખિયાણા, રાજચરાડી, ચંદ્રાસર, પીપળી અને મોટી માલવણ ગામની સીમ તથા તળાવ કાંઠે 40થી વધુ ગીધ જોવા મળ્યા છે. આ ગીધ વૃક્ષો પર પોતાના માળા બનાવીને રહે છે અને સવારે શિકારની શોધમાં નીકળીને સાંજે પરત ફરે છે. આ પક્ષીઓની ઘટતી જતી સંખ્યા પર નજર રાખવા માટે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના અધિકારીઓ દ્વારા ગીધના માળાની સ્થિતિ અને તેમની ચોક્કસ સંખ્યા અંગે વિશેષ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. લુપ્ત થવાના આરે પહોંચેલા આ મહત્વપૂર્ણ પક્ષીઓને બચાવવા અને તેમની વસ્તી વધારવા માટે સરકાર અને તંત્ર દ્વારા વિશેષ અને સત્વરે પ્રયાસો કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી રહી છે.

