Surendranagar News: દેગામ રણવિસ્તારમાં 5 હજાર એકર સરકારી જમીનને લઈ વિરોધ પ્રદર્શન શરૂ, અગરિયાઓ કરશે આંદોલન

સુરેન્દ્રનગર ખારાઘોડા દેગામ રણવિસ્તારમાં 5 હજાર એકર સરકારી જમીન પર હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા અન્ય કંપનીને ફાળવી દેવા મુદ્દે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયો છે. 17 જૂનના રોજ અગરિયાઓનું સંમેલન યોજી આંદોલનના મંડાણ માડવામાં આવશે. 5000 એકર જમીન ઉપર સોલાર ગ્રીન એનર્જી અને કેમિકલ પ્રોજેક્ટ બનાવવામાં આવી રહ્યા છે, જેને લઈને 400થી વધુ અગરિયાઓના પરંપરાગત રસ્તાઓ અને કુદરતી પાણીનો વહેણ રોકાઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો એક તરફ પાવર ગ્રીડ કંપની સામે લડત આપી રહ્યા છે તો હવે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અગરિયાઓ પોતાની હક અને પોતાની માંગણીઓને લઈ અને હવે આંદોલનની લડત તરફ વળી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા દેગામ રણ વિસ્તારની પાંચ હજાર એકર સરકારી જમીન પર હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ અને પ્રજ્ઞનાભ બ્રોકેમ એલએલપી વચ્ચે કરાર કરવામાં આવ્યા છે અને ત્યાં સોલાર ગ્રીન એનર્જી અને કેમિકલ પ્રોજેક્ટ ઉભો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ પ્રોજેક્ટ ઉભો કરવામાં તો આવી રહ્યો છે પરંતુ તેને લઈને અગરિયાઓને નુકસાન જવાની ભીતિ સર્જાઈ છે.
ત્યારે આ મુદ્દે હવે અગરિયાઓ દ્વારા લડત આપવા અંગેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાની હેઠળ 17 જૂનના રોજ ખારાઘોડા હાઇસ્કુલ ખાતે અગરિયાઓનું સૌથી મોટું મહાસંમેલન યોજવા જઈ રહ્યું છે. અને ત્યારબાદ સૌથી મોટી લડત અને આંદોલનના મંડાણ માંડવામાં આવશે.
ત્યારે હિન્દુસ્તાન સોલ્ટ લિમિટેડ દ્વારા જે જમીન સોંપી દેવામાં આવી છે. તેમાં સોલાર ગ્રીન એનર્જી અને કેમિકલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે અને પ્રોજેક્ટ શરૂ કરવાના કારણે ગેરકાયદેસર ઉંચા પાળા બાંધી દેવામાં આવ્યા છે. જેનાથી 400થી વધુ અગરિયાઓના પરંપરાગત રસ્તાઓ અને કુદરતી પાણીના વહેણ રોકાઈ જઈ રહ્યા છે ત્યારે આ કરાર અંતર્ગત પર્યાવરણીય કાયદાઓના ભંગ ની સાથે મોટા પાયે નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચારની પ્રબળ આશંકા અગરિયાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે..
નજીકમાં ઘુડખર અભ્યારણ પણ આવેલું છે ત્યારે ઘુડખર અભ્યારણની જમીન પણ આ પ્રોજેક્ટમાં સમાવેશ થઈ જઈ રહી છે ત્યારે જો આ પ્રોજેક્ટ ઉભો કરવામાં આવશે. તો સરકારની તિજોરીને પણ નુકસાન થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 5000 એકર જમીન પર આ ખાનગી કંપની દ્વારા અંદાજે દર વર્ષે 300 કરોડ રૂપિયાનું મીઠું 50 કરોડનું કેમિકલ અને 200 કરોડથી વધુની સોલાર ઉર્જા ઉત્પન્ન કરી દર વર્ષે 550 કરોડથી વધુની રકમની આ કંપની કમાણી કરવાની છે. તેની સામે હિન્દુસ્તાન સોલ્ટ દ્વારા આ કીમતી જમીન અને સંસાધનો મામુલી ભાડે એટલે કે માત્ર 03 કરોડ ફિક્સ કિંમતે ખાનગી કંપનીને સોંપી દેવામાં આવી છે.
રણની જમીનમાં કોઈપણ પ્રકારનો ઔદ્યોગિક અને વ્યવસાયિક એકમ સ્થાપિત કરી શકાતો નથી ત્યારે સોલાર પ્લાન્ટ અને કેમિકલ ની ફેક્ટરીઓ ઊભી કરવા અંગેની તૈયારીઓ દેખાડવામાં આવી છે. તો આ પ્રકારનો હેતુફેર કોના દ્વારા કરવામાં આવ્યો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણમાં પર્યાવરણના નુકસાન અને ગરીબ અગરિયાઓની રોજી રોટી છીનવવાની સાથે મોટાપાયે આર્થિક ગેરરીતી સંકળાયેલી હોવાનું અગરિયાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને 17 જૂનથી અગરિયાઓ પોતાનું પ્રથમ સંમેલન યોજી અને આ અંગે લડત અંગેના મંડાણ માંડવા જઈ રહ્યા છે.

