Surendranagar: કુડા તરફનો માર્ગ બંધ; અગરિયાઓ સંકટમાં, 2 લાખ ટન મીઠું રણમાં અટવાયું
સુરેન્દ્રનગરના કુડા રણ વિસ્તારમાં મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલા હજારો અગરિયાઓ અત્યારે ગંભીર સંકટમાં મુકાયા છે. કુડા તરફ જતો મુખ્ય માર્ગ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા, રણમાં પાકેલું લાખો ટન મીઠું બહાર લાવી શકાતું નથી. કરોડો રૂપિયાની કિંમતનું મીઠું રણમાં જ પડ્યું હોવાથી અગરિયાઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.
મળતી માહિતી મુજબ, નર્મદા કેનાલ પર આવેલો એક જૂનો પુલ જર્જરિત હોવાનો રિપોર્ટ આપી તંત્રએ છેલ્લા 6 મહિનાથી આ માર્ગ બંધ કરી દીધો છે. કુડાના રણમાં અત્યારે 2 લાખ ટનથી વધુ મીઠું પાકીને તૈયાર છે,પરંતુ અગરિયાઓ રણ માંથી મીઠું બહાર કાઢી નથી શકતા. અગરિયાઓનું કહેવું છે કે જો મીઠું કુડાથી ખારાઘોડા સુધી પહોંચે તો જ તેનું વેચાણ થાય તેવી પરિસ્થિતિ છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે પુલ બંધ કરવામાં આવ્યો ત્યારે ડાયવર્ઝન બનાવવા માટે લાખો રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો. આમ છતાં, જમીન પર કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે કુડાથી મીઠું બહાર નીકળે તે માટે પુલ શરુ કરવાની માગ કરી છએ. હાલ કરોડો રુપિયાનું મીઠું રણમાં ઉત્પાદિત થઈને પડ્યું છે.

