Surendranagar: ખાખરાવાળી વિસ્તારમાં રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ, 3 લિઝ પર દરોડા પાડ્યા
સુરેન્દ્રનગરના ખાખરાવાળી વિસ્તારમાં ચોટીલા પ્રાંત અધિકારીએ ઓચિંતા દરોડા પાડીને એક મોટા રોયલ્ટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ દરોડા દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, જેમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે રોયલ્ટી પાસ ઈસ્યુ કરીને લાખોનો ચૂનો લગાવવામાં આવતો હતો.
પ્રાંત અધિકારીની તપાસમાં સૌથી મોટો ધડાકો એ થયો છે કે, જે લિઝ ધારકોનું વર્ષ 2014માં મૃત્યુ થઈ ચૂક્યું છે, તેમના નામે હજુ પણ રોયલ્ટી પાસ કાઢવામાં આવતા હતા. આ પાસનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે ખનીજનું વેચાણ કરવામાં આવતું હતું. તંત્રએ કુલ 3 લિઝ પર દરોડા પાડી આ સમગ્ર નેટવર્કને ઝડપી લીધું છે.
દરોડા દરમિયાન અધિકારીઓએ સ્થળ પરથી આશરે 35 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે લિઝ પર કોઈ પણ પ્રકારનું સ્ટોક રજીસ્ટર નિભાવવામાં આવતું નહોતું.

