Video/ Surendranagarના સોનગઢમાં ગેરકાયદે કાર્બોસેલની ખાણો પર ત્રાટકી પોલીસ, ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સુરેન્દ્રનગરના સોનગઢ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણો પર પ્રશાસને દરોડા પાડી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. આ દરોડા દરમિયાન માત્ર ખનિજ ચોરી જ નહીં, પરંતુ મોટા પાયે વીજચોરીનું કૌભાંડ પણ સામે આવતા ચકચાર મચી ગઈ છે.
વીજચોરી માટે ગેરકાયદેસર TC મૂક્યાનો ધડાકો
તંત્રની તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે ખનિજ માફિયાઓ દ્વારા ખોદકામ સ્થળે ગેરકાયદેસર રીતે વીજળી મેળવવા માટે પોતાના વ્યક્તિગત ટ્રાન્સફોર્મર (TC) મૂકી દેવામાં આવ્યા હતા. આ રીતે વીજચોરી કરીને ખાણોમાં રાત-દિવસ ખોદકામ કરવામાં આવતું હતું. તપાસ દરમિયાન પ્રેમા મોહન નામના વ્યક્તિની માલિકીની જમીનમાં આ ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોવાનું ખુલ્યું છે.
₹20 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન અધિકારીઓએ ઘટનાસ્થળેથી ગેરકાયદે ખોદકામમાં વપરાતા ટ્રેક્ટરો, વીજ પુરવઠા માટે વપરાતા જનરેટરો, અન્ય મશીનરી અને સાધનો મળી કુલ 20 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સરપંચ અને તલાટી સામે ગાજ પડી
આ મામલે હવે સ્થાનિક તંત્રના અધિકારીઓ સામે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીએ આ ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવામાં નિષ્ફળ રહેલા અથવા આંખ આડા કાન કરનારા સરપંચ અને તલાટીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.

