Surendranagar news: ઘણાદ ગામે ઘુડખરના ત્રાસથી ઉપવાસ પર બેઠેલા ખેડૂતોની મુલાકાતે અધિકારીઓ દોડી આવ્યા

Surendranagar news: દેશ અને દુનિયામાં સૌથી વધુ ઘુડખરની વસતી સુરેન્દ્રનગરમાં જોવા મળે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 7 હજાર કરતાં પણ વધુ ઘુડખર જોવા મળે છે. પરંતુ ઘણાદ ગામે ઘુડખરનો ત્રાસ એ હદે વધી ગયો છે કે ગામના ખેડૂતોનો ઉપવાસ આંદોલનનો સહારો લેવો પડયો છે. ઘણાદ ગામે ઉપવાસ પર ઉતરેલા ખેડૂતો છેલ્લા 3 વર્ષથી તંત્રને રજૂઆત કરી રહ્યા છે. છ ગામડાઓમાં ઘુડખરનો ત્રાસ વધી જતા ખેડૂતોએ ઘુડખર ભગાડો ખેતી બચાવો અભિયાન શરૂ કરી ઉપવાસ પર ઉતરી પડયા છે. ધણાદ, પેઢડા, વણા અંકેવાળિયા, ગજેડા અને ડુમડા ગામના ખેડૂતો આખરે તંત્રનો વિરોધ કરી ઉપવાસ પર ઉતરી પડયા હતા. જેને લઈ અધિકારીઓ ખેડૂતોની મુલાકાતે આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં સૌથી વધુ ઘુડખરની સંખ્યા જોવા મળે છે. ગત વર્ષે ઘુડખરની વસતી ગણતરી કરવામાં આવી ત્યારે આ આંકડો 7,652એ પહોંચ્યો છે. ત્યારે આ ઘુડખર ખેડૂતોનો કિંમતી પાકને નુકસાન પહોંચાડતા હોય છે. જેથી ધણાદ અને આસપાસના 5 ગામના ખેડૂતો ઘુડખરના ત્રાસને દૂર કરવા તંત્રને 3 વર્ષથી રજૂઆત કરી ચુક્યા છે. કપાસ, તલ જેવા પાકોના વાવેતરને ઘુડખર ખૂબ નુકસાન પહોંચી રહ્યા છે. જેથી ખેડૂતોને નુકસાન વેઠવાની નોબત આવે છે. જેને લઈ ખેડૂતોએ તાત્કાલિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
ખેડૂતોએ ઘુડખર ભગાડો ખેતી બચાવો અભિયાન શરૂ કરી આખરે આજે છ ગામના ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા હતા. ભારે રોષ બાદ મામલતદાર, વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. જે બાદ ખેડૂતોએ ઘુડખરથી ખેતીને બચાવવાની વાત કરી કરી હતી. ખેડૂતોએ આગળ જણાવ્યું કે, ઘુડખર અભયારણ્ય પાછળ કરોડોનો ખર્ચ છતાં ખેડૂતોને ઘુડખર નુકસાન કરી રહ્યા છે. જેથી તાત્કાલિક ઘુડખરના ત્રાસમાંથી મુક્તિ આપવા ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ માંગ ઉઠાવી હતી. સારી એવી વ્યવસ્થા કરવી નહિ તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

