Surendranagar: સરકારી શિક્ષકો પર ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાનો આક્ષેપ, શિક્ષણ અધિકારીને કરાઈ રજૂઆત
સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવતા હોવાનો અને બાળકોને ટયુશનમાં આવવા માટે દબાણ કરતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જિલ્લાના સરકારી શાળાઓના શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસો ચલાવીને આર્થિક લાભ મેળવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ લાગ્યો છે. આ મુદ્દે સ્થાનિક એકેડેમી એસોસિએશન અને ફેડરેશન ઓફ એકેડેમીના આગેવાનોએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી, તાત્કાલિક તપાસ અને કડક પગલાંની માંગ કરી છે.
શું છે આક્ષેપો
સરકારી શાળાઓના શિક્ષકો, જેમને સરકાર દ્વારા લાખો રૂપિયાનો પગાર આપવામાં આવે છે, તેઓ શાળાના સમય બાદ ખાનગી ટ્યુશન ક્લાસો ચલાવી રહ્યા હોવાની ફરિયાદો સામે આવી છે. આ શિક્ષકો શાળામાં શિક્ષણની ગુણવત્તા સુધારવાને બદલે, ખાનગી ટ્યુશન ક્લાસો દ્વારા વધારાની આવક મેળવવામાં વ્યસ્ત હોવાના આરોપો સામે આવ્યા છે.
એકેડેમી એસોસિએશનના લીગલ એડવાઈઝર હસમુખ સિંહ પરમારે જણાવ્યું હતું કે, સરકારી શાળાઓનું શિક્ષણ પહેલેથી જ નબળી ગુણવત્તાને કારણે ટીકાનો વિષય બન્યું છે. શિક્ષકો ખાનગી ટ્યુશન ક્લાસોમાં વધુ ધ્યાન આપતા હોવાથી, શાળાઓમાં વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળતું નથી. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ, જેઓ ખાનગી ટ્યુશનનો ખર્ચ ઉઠાવી શકતા નથી, તેઓ શૈક્ષણિક રીતે પછાત રહી જાય છે. 90 ટકા જેટલા શિક્ષકો આ ગેરકાયદે પ્રવૃતિમાં સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું. જીલ્લામાં આશરે 300-350થી વધુ ટ્યુશન ક્લાસ આવેલા છે. અમારી વિનંતી છે કે અન્ય જિલ્લાઓની જેમ સુરેન્દ્રનગરમાં પણ ટ્યુશન અધિનિયમનું પાલન કરવામાં આવે. અને ટ્યુશનની બદી દુર કરવામાં આવે.

